અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૯ અંગદાનમાં મળેલા ૪૧૫ અંગોએ ૩૯૮ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 129 મું અંગદાન થયું છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષના નિરજભાઇ પરીહારને 27 ઓગષ્ટે માર્ગ અકસ્માત નડ્યો.
આ માર્ગ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 5 દિવસની સધન સારવારના અંતે તેઓને તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરતા બે કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી છે. જેને અમદાવાદ સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યુ કે, ૩૧ મી ઓગષ્ટે કિડની ઇન્સ્ટીટ્યુટના સ્થાપક ડૉ. એચ.એલ.ત્રિવેદીની જન્મ જયંતિ હતી. ગુજરાત રાજ્યથી સમગ્ર દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટને વેગવંતુ બનાવનાર પુણ્યાત્માની જન્મજયંતિએ બ્રેઇનડેડ યુવકના અંગદાનમાં બે કિડની મળી અને તેને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ તે ક્ષણ ભાવુક બની રહી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ ૧૨૯ અંગદાન થયા છે. જેમાં મળેલા ૪૧૫ અંગોએ ૩૯૮ જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું છે.