ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
માત્ર થિયરીકલ મુદ્દાઓ ઉપર વાતો કરી મુળ મુદ્દાઓ હાંસીયામાં ધકેલી દેવાના આ ભાજપનું હમેંશાનું તરકટ રહ્યું છે – અર્જુન મોઢવાડિયા
અમદાવાદ
“વન નેશન, વન ઈલેક્શન” અંગે સમિતિ રચવાના અહેવાલો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે INDIA ગઠબંધનનો ભાજપને ડર લાગ્યો છે, તેના કારણે “વન નેશન, વન ઈલેક્શન” જેવા મુદ્દાઓ લાવી લોકોનું ધ્યાન ભટકાવવા પ્રયત્ન કરી રહી છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે વડાપ્રધાન જે રાજ્યમાંથી દિલ્હી ગયા છે તેવા આપણા ગુજરાતમાં તેઓ સ્થાનિક સ્વરાજની ચુંટણી પણ એક સાથે કરાવી શકતા નથી. અમે વારંવાર વાર માંગ કરી છે કે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નગરપાલીકા, મહાનગરપાલીકા અને પંચાયતોની ચુંટણીઓ એક સાથે કરાવવામાં આવે, પરંતુ તેઓ આજ દિવસ સુધી કરી શક્યા નથી. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે એક જ મતદાર યાદી બનાવાની માંગણી પણ આજ દિવસ સુધી સ્વિકારી નથી. ત્યારે “વન નેશન, વન ઈલેક્શન” ની વાતો માત્ર લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન છે.
અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે “વન નેશન, વન ઈલેક્શન” કરવુ જ હતું તો 9 વર્ષથી સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર છે, આજ દિવસ સુધી કેમ ના કર્યું? એમને માત્ર કોઈ મુદ્દો ઉભો કરી લોકોનું ધ્યાન ભટકાવવુ છે. તેઓ ક્યારેક “વન નેશન, વન ઈલેક્શન” ની વાતો કરશે, ક્યારેક સિવિલ કોડની વાતો કરશે, પણ ક્યારેય મોંઘવારીની વાત નહી કરે, ક્યારેય રોજગારીની વાત નહી કરે, ક્યારેય ભ્રષ્ટાચારની વાતો નહી કરે, ક્યારેય સારા શિક્ષણની વાત નહી કરે, ક્યારેય ઘસાતા જતા લોકશાહી મુલ્યોની વાત નહી કરે. માત્ર થિયરીકલ મુદ્દાઓ ઉપર વાતો કરી મુળ મુદ્દાઓ હાંસીયામાં ધકેલી દેવાના આ ભાજપનું હમેંશાનું તરકટ રહ્યું છે.