ગાંધીનગરમાં પતિ પત્ની વચ્ચેના ઘરકંકાસે પોલીસને દોડતી કરી દીધી હતી. કોર્ટમાં સમાધાન થઇ ગયું હોવા છતાં દીકરાની કસ્ટડી માટે ભાટની નારાયણી લીકર શોપમાં નોકરી કરતા મેનેજર પતિ ઉપર વીફરેલી પત્નીએ સાસુને પણ માર માર્યો હોવાની ફરિયાદ અડાલજ પોલીસ મથકમાં નોંધાઈ છે.
અમદાવાદના શાહીબાગ ખાતે રહેતા અને ભાટ નારાયણી હોટેલમાં એડમીન મેનેજર તરીકે ફરજ બજાવતા હરદેવસિંહ પ્રતાપસિંહ રાઠોડની ફરિયાદ મુજબ, તેમના લગ્ન વર્ષ – 2014 માં બોલુન્દ્રા ગામના મેઘાવીબેન સાથે થયા હતા. અને સંતાનમાં બે દરકરા છે. પતિ પત્નિને છેલ્લા દોઢ વર્ષથી મનમેળ ના હોય અલગ રહે છે. તેમજ પત્નીએ મોડાસા મહીલા પોલીસ સ્ટેશન દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ કરેલી છે.
ઉપરાંત અમદાવાદ કોર્ટમાં છુટાછેડાનો કેસ પડતર હોવાની સાથે ભરણપોષણનો કેસ પણ પત્નીએ કર્યો છે. જો કે મોડાસા કોર્ટમાં દંપતી વચ્ચે સમાધાન થઇ ગયું હોવાથી એક દીકરાની કસ્ટડી હરદેવસિંહ પાસે છે. ગઈકાલે સોમવારે પોણા આઠ વાગ્યાના અરસામાં હરદેવસિંહ નોકરી પર હાજર હતા. એ વખતે પત્ની મેઘાવીબેન તેમજ અન્ય પાંચેક પરિવારના સભ્યો લીકર શોપ ખાતે ગયા હતા. બાદમાં પત્નીએ જોરશોરથી બૂમો પાડી પતિને ગાળો બોલવા લાગી કહેવા લાગેલ કે, તું બહાર નિકળ અને દીકરાને તારી જોડેથી લઇ લઇશ. અને તું નહીં આપે તો તારા ટાંગા ભાંગી નાખીશ. બહાર બીજા પણ માણસો છે તને અને દીકરાને ઘરે જીવતા જવા દઇશુ નહી.
આથી પતિએ કહેલ કે કોર્ટમાં સમાધાન કર્યું હોવાથી કોર્ટનો ઓર્ડર લઈને આવ તો દીકરાની કસ્ટડી આપી દઈશ. તેમ છતાં પત્ની સહિતના લોકો માથાકૂટ ચાલુ રાખતા પોલીસને બોલાવી હતી. એ વખતે પણ પત્ની સહિતના લોકો ધમકીઓ આપી કહેવા લાગેલ કે, પોલીસ તો મારા ઘરની છે. મારા સંબંધીઓ ઘણા પોલીસવાળા છે. જ્યાં હરદેવસિંહનાં પરિવારજનો પણ પહોંચી ગયા હતા. અને સાસુ સાથે ઝપાઝપી કરી પુત્રવધૂએ મારા મારી કરી હતી. આમ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અને પતિની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.