ચોથા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માં અંબાની છબી અને ગરબીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં
અમદાવાદ
સમગ્ર રાજ્યમાં આસ્થા, ભક્તિ અને ઉમંગના પ્રતીક સમાન નવલાં નોરતાંની ઉજવણી રંગેચંગે થઈ રહી છે ત્યારે ચોથા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સોસાયટી ગરબામાં ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ તરુણ નગર વિભાગ-1 સોસાયટી ખાતે માં અંબાની છબી અને ગરબીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં હતાં. સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીશ્રીને સહર્ષ આવકાર્યા હતાં. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિથી સોસાયટીના રહીશો સહિત ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શેલા વિસ્તારમાં આયોજિત માની માંડવી ગરબા ઉત્સવમાં હાજરી આપી હતી.મા આદ્યશક્તિના આરાધના પર્વ એવા નવલાં નોરતાની ચોથી રાત્રે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શેલા વિસ્તારમાં આયોજિત માની માંડવી ગરબા ઉત્સવમાં હાજરી આપી હતી. અહીં માતાજીના દર્શન કરી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિથી ખેલૈયાઓ સહિત આયોજકોનો ઉત્સાહ પણ બેવડાઈ ગયો હતો.