જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેના નેતૃત્વમાં જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
*સાણંદના સનાથલ, વિરમગામના જખવાડા, ધોળકાના બદરખા અને ધંધુકાના આકરું ખાતેથી શરૂ થશે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા*તમામ તાલુકાઓમાં 100% લક્ષ્ય સિદ્ધિ સુધી યોજનાઓ પૂર્ણ કરીને લાભાર્થીઓને લાભો પહોચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ :- જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.
અમદાવાદ
કેન્દ્ર સરકાર દ્વારા લોકમાનસ સુધી જનકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા, વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવાના લક્ષ્યાંક સાથે દેશભરમાં 25 જાન્યુઆરી 2024 સુધી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં સાણંદ, વિરમગામ, ધોળકા અને ધંધુકા તાલુકાઓએથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. સાણંદના સનાથલ, વિરમગામના જખવાડા, ધોળકાના બદરખા અને ધંધુકાના આકરું ખાતેથી વિકસિત ભારત રથો જિલ્લામાં સંકલ્પ યાત્રાની શરૂઆત કરશે.જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેના નેતૃત્વમાં જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો, વિકસિત ભારત રથોના રૂટ, કાર્યક્રમોની રૂપરેખા, વિવિધ યોજનાઓ સંબંધિત કામગીરી, લાભાર્થીઓ અને યોજનાઓના લાભોના વિતરણની વિગતો સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તથા કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. એ જણાવ્યું કે, તમામ તાલુકાઓમાં 100% લક્ષ્ય સિદ્ધિ સુધી યોજનાઓ પૂર્ણ કરીને લાભાર્થીઓને લાભો પહોચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં 25 જાન્યુઆરી 2024 સુધી વિવિધ તાલુકાઓમાં ફરીને વિકસિત ભારત રથો કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓની વિગતો, તેના લાભો, તેના પોર્ટલ કે નોંધણી અંગેની વિગતો લોકો સુધી પહોંચાડશે. વિવિધ ગામોમાં વિકસિત ભારત રથના આગમન સહિત વિવિધ યોજનાઓના કેમ્પ, યોજનાઓના લાભો નું વિતરણ, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક કૃષિના પ્રચાર અર્થેના કાર્યક્રમો, સફળ મહિલાઓ અને રમતવીરોના સન્માન, સેવા સેતુ, યુવાઓની ભાગીદારી માટેનો માય ભારત કેમ્પ, ગ્રામ સભા, સ્વચ્છતા અભિયાન, ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓના અભિપ્રાય સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.