ગાંધીના ગુજરાતમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે તેવું હાલની સ્થિતિ જોતા કહી શકાય. ગાંધીનગરમાં બેસતા તેમજ પાડોશી રાજ્યની સરહદ સંભાળતા ભ્રષ્ટ IPS અધિકારીઓના આર્શીવાદથી ભારતીય બનાવટનો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ (IMFL) ગુજરાતમાં ઠલવાય છે. બીજી તરફ કેટલાંક વર્ષોથી આયુર્વેદ સિરપ તેમજ કફ સિરપના નામે આલ્કોહોલ માફિયાઓ તેમજ ફાર્મા કંપનીઓએ અબજો રૂપિયા ઘર ભેગા કરી લીધા છે અને ભ્રષ્ટ તંત્ર તેની કઠપૂતળી બની ગયું છે.
નશાના કરોડો રૂપિયાના કારોબાર સાથે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પોલીસ, ફૂડ એન્ડ ડ્ર્ગ્સ અને નશાબંધી વિભાગ જોડાયેલા છે. દ્વારકા પોલીસે છેલ્લાં 4 મહિનાથી શરૂ કરેલી નશાકારક સિરપ વિરોધી ઝુંબેશમાં એક મોટી સફળતા મેળવી છે. રાજ્યભરમાં ફેલાયેલા સસ્તા નશાના કારોબારમાં કોણ કોની સાથે કેવી રીતે જોડાયેલું છે ? તેનો ઘટસ્ફોટ SP નિતેશ પાંડેયે કર્યો છે.
ગુજરાત સરકાર ની ઠોસ નીતિ ના અભાવે તેમજ તંત્રમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચારના કારણે વર્ષો રાજ્યમાં નશાયુક્ત સિરપનો વેપલો ચાલતો હતો. સેલવાસામાં આવેલી હરબોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપનીના માલિક સંજય શાહ છે. નશાકારક સિરપ બનાવતી કંપનીમાં લાયકાત ન હોવા છતાં આયુર્વેદ નિષ્ણાત તરીકે અમિત વસાવડા ફરજ બજાવતો. જ્યારે રાજેશ ડોડકે નશાયુક્ત સિરપનો માર્કેટિંગ મેનેજર છે. માલિક સંજય શાહ સાથે 700 કરોડના છેતરપિંડી કેસનો આરોપી સુનિલ કક્કડ વર્ષ 2021માં સંપર્કમાં આવ્યો અને બંનેએ ભેગા મળીને કરોડો રૂપિયાનો નશાનો કારોબાર શરૂ કર્યો. સુનિલ કક્કડે હરબોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપનીની નીચે AMB ફાર્મા નામની એક પેટા કંપની બનાવી અને તેના નામે ગુજરાતમાં મોટાપાયે ધંધો શરૂ કર્યો. આયુર્વેદિક તેમજ કરંટ આપતી સિરપનું સૌરાષ્ટ્રમાં મોટાપાયે માર્કેટિંગ શરૂ કર્યું. પાનના ગલ્લા પર વેચી શકાય તેવી સિરપની બોટલો જુદાજુદા નામ અને કલરમાં માર્કેટમાં મુકી. પોલીસ તપાસમાં આવેલી જાણકારી અનુસાર 22 મહિનામાં 45 કરોડની સિરપ બજારમાં ઠાલવી છે. નજર સામે ચાલતા કૌભાંડને લઈને ગુજરાત સરકાર અને દાદરા નગર હવેલીના સરકારી વિભાગના કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ આંખ મીચામણા કર્યા.
મહિનાઓ અગાઉ નશાબંધી વિભાગના ઈન્સ્પેક્ટર મેહુલ ડોડીયાએ ચાંગોદર સ્થિત શિવમ એન્ટરપ્રાઈઝ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઠોસ કાર્યવાહી કરવાના બદલે ભીનું સંકેલી લઈને મેહુલ ડોડીયાએ શિવમ એન્ટરપ્રાઈઝના ભાગીદાર પંકજ વાઘેલા સાથે ગોઠવણ કરી લીધી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મેહુલ ડોડીયાએ ડીસ્ટ્રીબ્યુશન એજન્સીમાં પરદા પાછળનો ભાગીદાર બની ગયો અને સરકારી વિભાગોમાં ગોઠવણ કરવાની જવાબદારી પણ લઈ લીધી. નફો અને સરકારમાં ગોઠવણ કરી આપવા પેટે મેહુલ ડોડીયાને વર્ષે દહાડે એકાદ કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવતી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે.
નશાબંધી વિભાગના વિવાદિત ઈન્સ્પેક્ટર મેહુલ ડોડીયાને નશાના ધંધામાં મોટો લાભ દેખાતો હોવાથી તેણે રાજીનામું (VRS) ધરી દીધું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મેહુલ ડોડીયાએ રાજીનામું આપતા તેની મંજૂરી માટે કરેલી કાર્યવાહીમાં એક અન્ય વિવાદિત અધિકારીએ પણ મોટી ભૂમિકા ભજવી છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર મેહુલ ડોડીયાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતિશ પાંડેયના જણાવ્યાનુસાર હરબોગ્લોબલ ફાર્માસ્યુટિકલના માલિક સંજય શાહ, માર્કેટિંગ મેનેજર રાજેશ ડોડકે અને મેહુલ ડોડીયા ફરાર છે. પોલીસે અત્યારસુધીમાં સુનિલ કક્કડ, અમિત વસાવડા સહિત કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલામાં પોલીસને મહત્વના પૂરાવાઓ પણ હાથ લાગ્યા છે.