22 ફેબ્રુઆરીથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી શકે છે. સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે દિવસ દરમિયાન મોદી સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતનો પ્રવાસ ખેડશે અને વિવિધ ઉદ્ઘાટનો કરશે.રાજકોટમાં સ્થપાયેલી એઇમ્સ, બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, નવસારીના વાંસી બોરસીમાં આવેલો પીએમ મિત્ર ટેક્સ્ટાઇલ પાર્ક સહિતની સુવિધાઓનું ઉદ્ઘાટન કરશે.
મધ્ય ગુજરાતના આદિવાસી લોકો સાથે સંપર્ક થાય તે હેતુથી વડોદરામાં એક ખાસ કાર્યક્રમ પણ યોજાશે. તેઓ ઉત્તર ગુજરાતના વિસનગર પાસે આવેલા તરભ વાળીનાથ મંદિરના શિવાલયના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે. ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો સહિત 700 જેટલા નેતાઓ આગામી 17 અને 18 ફેબ્રુઆરીએ દિલ્હી જશે.