શિવરાત્રિ એટલે મહાપર્વ. આ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને આવતા હોય છે. ઘણીવાર એટલી ભીડ થઈ જાય છે કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની જાય છે. આવામાં લાખોની ભીડને પહોંચી લેવા માટે સોમનાથમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે. સાથે જ વધુ શ્રદ્ધાળુઓ સોમનાથના દાદાના દર્શન કરી શકે તે માટે પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે.
શિવરાત્રિની દિવસે સોમનાથ મંદિરમાં એન્ટ્રી નિયમે લઈને બદલાવ કરવામાં આવ્યો છે. આ માટે 6 પ્રવેશદ્વારનો ઉપયોગ કરવામાં આવશે. 6 ગેટથી શ્રદ્ધાળુઓને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે. જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષોને પ્રવેશ આપવામાં આવશે.
શ્રદ્ધાળુઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને રક્ષક દળને એસી કેબિનની સુવિધા આપવામાં આવી છે. કોઈ શિવ મંદિરમા એસી કેબિન હોય તેવું ગુજરાતનું આ સંભવત પ્રથમ મંદિર બનશે.
જુનાગઢથી સોમનાથના દર્શને આવી શકે તે માટે જુનાગઢ-સોમનાથ વચ્ચે વધારાની એસટી બસો દોડાવવામાં આવશે. જરૂર પડ્યે વધારાની 25 થી 30 બસ દોડાવવામાં આવશે. જેથી વધુ લોકો સોમનાથ સુધી પહોંચી શકે.
આ ઉપરાંત મંદિરની આસપાસ ધૂળની ડમરી દૂર કરવા માટે સંપાદિત જમીનમાં બ્લોક બેસાડવાની કામગીરી ચાલી રહી છે. જેથી 100 થી વધુ શ્રમિકો કામ કરી રહ્યાં છે.
આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઉજવાશે. આ વર્ષે 8 માર્ચે શુક્રવારના રોજ મહાશિવરાત્રિ ઉજવાશે. શુક્રવારે મહા વદ તેરસ નિમિત્તે મહાશિવરાત્રિ રહેશે. શુક્રવારે રાત્રિએ 9.45 વાગ્યા સુધી તેરસની તિથિ છે. સવારે 10.41 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર અને પછી દિવસભર ઘનિષ્ઠા નક્ષત્ર છે. શુક્રવારે રાત્રિએ 12.46 વાગ્યા સુધી શિવયોગ અને પછી સિદ્ધયોગ છે.