વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના પુણેમાં એક રેલીને સંબોધિત કરતા કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે ગરીબી કેવી રીતે દૂર થાય છે – તો તેઓ કહે છે ખટાખટ….ખટાખટ. કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે વિકાસ કેવી રીતે થાય છે – તો તેઓ કહે છે ‘ઠકાઠક…
ઠકાઠક ‘. કૉંગ્રેસના શહેઝાદાને પૂછો કે શું વિકસિત ભારત બનાવવાની કોઈ યોજના છે તો તેઓ કહે છે ટકાટક…ટકાટક.”
હકીકતમાં રાહુલ ગાંધીએ તેમના ચૂંટણીભાષણોમાં કહ્યું છે કે જો ‘ઇન્ડિયા’ ગઠબંધનની સરકાર સત્તામાં આવશે, તો તેમની સરકાર ભારતના યુવાનોના ખાતામાં એક લાખ રૂપિયા ટકાટક જમા કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારત યુવા પ્રતિભા અને ટૅક્નોલૉજી પર આધાર રાખીને આગળ વધી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતના યુવાનોએ માત્ર દસ વર્ષમાં 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ બનાવ્યા છે.
વડા પ્રધાન મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વચનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
તેમણે કહ્યું, “મારા દિલમાં છે કે ભારતના મધ્યમ વર્ગ અને ઉચ્ચવર્ગીય પરિવારો સાથે જે સરકારની નાનીમોટી લડાઈ છે તે સંપૂર્ણપણે બંધ થવી જોઈએ. સરકારે તેમના જીવનમાંથી બહાર નીકળી જવું જોઈએ. સરકારની આદત બની ગઈ છે કે દરેક વાતમાં ટાંગ અડાડવી. હું સરકારને તેમાંથી બહાર કાઢવા માંગું છું. જ્યારે પણ ગરીબને જરૂર પડે ત્યારે સરકાર 24 કલાક હાજર રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માંગું છું.”વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે કૉંગ્રેસની નજર લોકોની સંપત્તિ પર છે.