સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપીના કસ્ટોડિયલ ડેથ મામલે અંતે પોલીસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મૃતક આરોપીના પરિવારજનોનો આક્ષેપ હતો કે પોલીસના શારીરિક માનસિક ત્રાસથી યુવક આત્મહત્યા કરવા મજબુર બન્યો હતો. જેના પગલે તાલાલા સીપીઆઈ, સુત્રાપાડા પીએસઆઇ સહિત છ પોલીસકર્મીઓ ઉપરાંત અજાણ્યા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ મરવા માટે મજબૂર કર્યા તેમજ કાવતરું રચ્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં પોસ્કો સહિતના ગુનાના કામે મદદગારીમાં જાફરાબાદ તાલુકાના ભટવદર ગામના નરેશ જીવાભાઈ જોડિયા નામના યુવકની સુત્રાપાડા પોલીસે ધરપકડ કરી હતી. આ યુવકે પોલીસ લોકઅપમાં જેલના સળિયા સાથે માથું અથડાવતા ગંભીર ઈજાઓ સાથે સારવારમાં ખસેડવામાં આવેલ અને સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયેલ હતું. મૃતક યુવકે સારવાર દરમ્યાન પોતાને પોલીસે માર માર્યા હોવાનો વિડિયોમાં કેફિયત રજૂ કરેલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયેલ હતો. મૃતકના પરિવાર દ્વારા જ્યાં સુધી જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા માટે અડગ રહ્યો હતો. આખરે મૃતક નરેશના પિતા જીવાભાઇ જોડિયાની ફરિયાદ આધારે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં તાલાલા સીપીઆઈ આર.એન.જાડેજા સુત્રાપાડા પીએસઆઇ વાઘેલા મહિલા પોલીસ કર્મચારી ઈલાબેન કામળિયા તેમજ અન્ય ત્રણ પોલીસકર્મીઓ સહિત અજાણ્યા પાંચ થી છ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા મુજબ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી નરેશને કોઈ વાંક ગુનો ન હોય તેમ છતાં આરોપીઓ વિરૂૂદ્ધ અરજીઓ અને રજુઆતો કરેલ હોય તેની દાઝ રાખી ગેર કાયદેસર રીતે પોલીસ કસ્ટડીમાં રાખી ન સાંભળી શકાય તેવી ગાળો આપી ખોટી રીતે લોકઅપમાં રાખી છ વર્ષે સુધી જામીન ન થવા દેવાની ધમકીઓ આપી શારીરીક માનસીક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરી દીધેલ હતો. આથી નરેશએ તા.24 ના રોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં લોકઅપના ગ્રીલ સાથે પોતાનું માથુ અથડાવી આત્મહત્યા કરી લીધેલ હતી. જેથી આ મામલે છએય પોલીસકર્મીઓ વિરૂૂધ્ધ આઈપીસી કલમ
33, 114, 120(બી), 143, 166(એ), 323, 331, 306 તથા લાગુ તમામ કલમો મુજબ ફરીયાદ દાખલ કરી છે. હાલ આ ગુન્હાની તાપસ ઉના ડીવાયએસપી ચૌધરી કરી રહ્યા છે.