વિપક્ષના કાઉન્સિલરોએ ધર્મ વિરોધી સરકાર નહીં ચલેગી, ભાજપ સરકાર હાય હાય’ સહિતના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા મેયરે સામાન્ય સભાને બરખાસ્ત કરી
અમદાવાદ
મ્યુનિ. દ્વારા શહેરમાં 1,386 જેટલા ધાર્મિક દબાણોને દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હોવા મામલે AMC બોર્ડમાં વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર પોકારીને બેનરો દર્શાવીને હોબાળો મચાવતા મેયર પ્રતિભા જૈને ગણતરીની મિનિટમાં જ બોર્ડ સમેટી લીધું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આ સબજ્યુડીસ મેટર છે, હાલ કોર્ટ મેટર ચાલી રહી છે અને મંદિરો રીલોકેટ કરાશે. રોડ લાઈનના અમલમાં જરૂર હોય તો જ ધર્મસ્થાન દૂર કરાશે.વિપક્ષના કાઉન્સિલરો મેયરના ડાયસ તરફ્ ઘસી ગયા હતા અને ‘ધર્મ વિરોધી સરકાર નહીં ચલેગી, ભાજપ સરકાર હાય હાય’ સહિતના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા મેયરે સામાન્ય સભાને બરખાસ્ત કરી હતી. MP, MLAની સંકલન સમિતિમાં BJPના જ ધારાસભ્યો બૂમો પાડે છે કે તેમના કામો થતા નથી, એવો વિપક્ષના કોર્પોરેટરે ટોણો માર્યો હતો તેમજ શહેરમાં પ્રી-મોન્સૂન પ્લાન નિષ્ફ્ળ ગયો હોવાનો અને ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વોટર સપ્લાય કમિટીના ચેરમેને કહ્યું હતું કે, એક સાથે પાંચ ઈંચ વરસાદ પડે તો પાણી ભરાય જ, પરંતુ તેનો સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ.