સંપૂર્ણ દેશમાં ગણેશોત્સવ 2024 ની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. આ 17 તારીખે અનંત ચતુર્દશી છે. આ દિવસે બાપ્પાના વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે મુસ્લિમ સમુદાયનો પવિત્ર તહેવાર ઈદ-એ-મિલાદ છે જેને લઈને હિન્દુઓની અનંત ચતુર્દશી સાથે આવતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર દ્વારા ઈદ-એ-મિલાદના દિવસે અપાતી રજાની તરીખને બદલવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈમાં ઈદ-એ-મિલાદની રજા 16 સપ્ટેમ્બરથી આગળ ધકેલીને 18 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે સત્તાવાર સૂચના દ્વારા આ ફેરફારની જાહેરાત સરકારે કરી હતી. ઈદ-એ-મિલાદની રજાની તારીખને બદલાવ માટે મુસ્લિમ ધારાસભ્યો અને સંગઠનોની વિનંતીઓ બાદ કરવામાં આવી છે. મુસ્લિમ સમુદાયના સભ્યો દ્વારા 17 તારીખે ગણપતિ વિસર્જન સમારોહ સાથે તેમના તહેવારની અથડામણને રોકવા માટે 18 સપ્ટેમ્બરના રોજ આયોજિત ઈદ-એ-મિલાદના સરઘસો સાથે રજાને સંરેખિત કરવાની માગણી કરી હતી.
રાજ્ય સરકારે બહાર પડેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, “રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 24 જાહેર રજાઓમાં, ઈદ-એ-મિલાદની રજા (Maharashtra Government changes Eid-e-Milad holiday) સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024 ના રોજ સૂચવવામાં આવી છે. ઈદ-એ-મિલાદ, મુસ્લિમોનો ધાર્મિક તહેવાર વ્યાપકપણે ઉજવવામાં આવે છે. 17મી સપ્ટેમ્બર, 2024ને મંગળવારે હિન્દુ તહેવાર અનંત ચતુર્દશી હોવાથી મુસ્લિમ સમુદાયે બન્ને સમુદાયો વચ્ચે શાંતિ અને સામાજિક સમરસતા જાળવવા માટે 16 સપ્ટેમ્બરને બદલે બુધવાર 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ જુલૂસ કાર્યક્રમ કરવાનું આયોજન અને નિર્ણય કર્યો છે. ઈદ-એ-મિલાદની જાહેર રજા સોમવાર, 16 સપ્ટેમ્બર, 2024 ને બદલીને બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે.”
નોટિફિકેશનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરોની બહાર, જિલ્લા કલેક્ટર નક્કી કરશે કે 16 સપ્ટેમ્બરે રજા રાખવી કે સ્થાનિક સરઘસના સમયપત્રકના આધારે તેને 18 સપ્ટેમ્બરે ખસેડવી છે. આ એકબીજા સાથે તહેવારોની અથડામણ અને તે દરમિયાન બે સમુદાયો વચ્ચે “શાંતિ અને સામાજિક સંવાદિતા જાળવવા” સૂચના મુજબ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી 16 તારીખે બદલે હવે 18 તારીખે મુસ્લિમ સમુદાય ઈદ-એ-મિલાદનું સારઘસ કાઢશે.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે દેશમાં અનેક જગ્યાએ ગણેશ મૂર્તિ અને પંડાલ પર પત્થરમારો કરવાની ઘટના સામે આવી હતી. હાલમાં ગુજરાતનાં સૂરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પત્થરમારાને કારણે અશાંતિનો માહોલ સર્જાયો હતો. પત્થરમારાની ઘટના વિરુદ્ધ ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યું હતું. પત્થરમારાની ઘટનાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશન પર ધરણાં આપ્યા અને તરત ન્યાયની માગ કરી તે બાદ આ મામલે પોલીસે 30થી વધારે લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.