કર્ણાટક
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. લોકાયુક્ત પોલીસે જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયા અને તેમની પત્ની પાર્વતી સહિત ચાર આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તપાસ અધિકારીઓએ ફરિયાદી સ્નેહમયી કૃષ્ણાને જણાવ્યું હતું કે, પુરાવાના અભાવે બંને સામેના આરોપો સાબિત થઈ શક્યા નથી.
આ મામલે અંતિમ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. સિદ્ધારમૈયા અને તેમની પત્ની ઉપરાંત તેમના સાળા મલ્લિકાર્જુન સ્વામી અને જમીન માલિક દેવરાજુ પણ આરોપી છે. 7 ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે સિદ્ધારમૈયાને રાહત આપતા MUDA કેસ CBIને ટ્રાન્સફર કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે RTI કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો.
શું છે આખો મામલો? MUDA પર ઘણા લોકોને ઓછી કિંમતે મિલકતો આપવાનો આરોપ છે. આમાં મૈસુરના પોશ વિસ્તારોમાં સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને આપવામાં આવેલી 14 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ મૈસુરના કસાબા હોબલીના કસારે ગામમાં તેમની 3.16 એકર જમીનના બદલામાં આપવામાં આવી હતી. 14 સ્થળો 3 લાખ 24 હજાર 700 રૂપિયામાં ફાળવવામાં આવ્યા હતા.
27 જાન્યુઆરીએ કર્ણાટક હાઈકોર્ટે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને મોકલવામાં આવેલી ED નોટિસ પર રોક લગાવી દીધી હતી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા પાર્વતીને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમને 28 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે EDના બેંગલુરુ સ્થિત કાર્યાલયમાં પુરાવા અને રેકોર્ડ રજૂ કરવા માટે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
17 જાન્યુઆરીના રોજ EDએ સીએમ સિદ્ધારમૈયા અને અન્ય લોકોની 300 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે, આ કાર્યવાહી મની લોન્ડરિંગ કેસમાં કરવામાં આવી હતી. આ અંતર્ગત આ લોકોની 142 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. ED દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જપ્ત કરાયેલી મિલકતો અલગ-અલગ લોકોના નામે નોંધાયેલી છે. આ લોકો રિયલ એસ્ટેટના વ્યવસાયી અને એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે.
MUDA કેસ શું છે? 1992માં, શહેરી વિકાસ સંસ્થા મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) એ રહેણાંક વિસ્તારો વિકસાવવા માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદિત કરી હતી. બદલામાં, જમીનમાલિકોને MUDAની પ્રોત્સાહન 50:50 યોજના હેઠળ વિકસિત જમીનમાં 50% જમીન અથવા વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હતી.
સિદ્ધારમૈયા સામે શું આરોપો છે?
- MUDA દ્વારા સિદ્ધારમૈયાની પત્નીને વળતર તરીકે આપવામાં આવેલા વિજયનગર પ્લોટની કિંમત કસારે ગામની તેમની જમીન કરતાં ઘણી વધારે છે.
- સ્નેહમયી કૃષ્ણાએ સિદ્ધારમૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આમાં તેમણે સિદ્ધારમૈયા પર MUDA સ્થળને પારિવારિક મિલકત તરીકે દાવો કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ મૂક્યો છે.
- 1998થી 2023 સુધી સિદ્ધારમૈયાએ કર્ણાટકમાં ડેપ્યુટી સીએમ અથવા સીએમ જેવા પ્રભાવશાળી હોદ્દા સંભાળ્યા. ભલે તેઓ આ કૌભાંડમાં સીધા સંડોવાયેલા ન હતા, પણ તેમણે પોતાની શક્તિનો ઉપયોગ પોતાના નજીકના લોકોને મદદ કરવા માટે કર્યો.
- સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈ મલ્લિકાર્જુને વર્ષ 2004માં ગેરકાયદેસર રીતે ડિનોટિફાઇડ 3 એકર જમીન ખરીદી હતી. 2004-05માં સિદ્ધારમૈયા ફરીથી કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા.
- આ યોજના હેઠળ જે જમીન માલિકોની જમીન MUDA દ્વારા સંપાદિત કરવામાં આવી છે. તેમને વળતર તરીકે વધુ મૂલ્યની વૈકલ્પિક જગ્યાઓ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, આ યોજના હેઠળ રિયલ એસ્ટેટ એજન્ટોને પણ જમીન આપવામાં આવી છે.
- જમીન ફાળવણી કૌભાંડનો પર્દાફાશ એક RTI કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો હતો જેમણે કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં 50:50 યોજના હેઠળ 6,000થી વધુ સાઇટ્સ ફાળવવામાં આવી છે.
- ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ 3 હજારથી 4 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આમાં સિદ્ધરામૈયાનો પરિવાર પણ શામેલ છે. કોંગ્રેસ આ અંગે મૌન સેવી રહી છે.