
સુરત
મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવતાં સુરતનો યુવક મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. સંગમમાં ગત 12 ફેબ્રુઆરીએ પૂનમે ડૂબકી લગાવતાં યુવક તણાયો હતો, જેની શોધખોળ સ્થાનિક ફાયર, NDRF સહિતની ટીમે કરી હતી. સુરતથી મિત્ર સાથે મહાકુંભમાં નીકળેલા યુવકની 14 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નહોતી. એને પગલે પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. આ દરમિયાન પરિવારે બેસણું અને બારમું પણ કરી નાખ્યું છે, જોકે પરિવાર છેલ્લીવાર યુવકનો ચહેરો જોવા મળે એવી આશા રાખીને બેઠું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિવેણી સંગમમાં આ યુવક ડૂબકી લગાવી રહ્યો હતો અને તેનો મિત્ર આ વીડિયો બનાવતો હતો. દરમિયાન જ યુવકનો પગ સ્લિપ થતાં ડૂબી ગયો હતો અને ત્યાર બાદ તણાઈ ગયો હતો. મૂળ અમરેલી જિલ્લાના મોટા લિલિયા તાલુકામાં પીપળવા ગામના વતની અને હાલ કતારગામ લલિતા ચોકડી પાસે પંચવટી સોસાયટીમાં રહેતા 32 વર્ષીય કમલેશ વિનુભાઈ વઘાસિયા પરિવાર સાથે રહેતો હતો. એથર કંપનીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમલેશે કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવાનું નક્કી કર્યું હતું.
ગત 8 ફેબ્રુઆરીએ બપોરે બંને મિત્ર સુરતથી નીકળ્યા હતા. સૌપ્રથમ ઉત્તરપ્રદેશના રીવા ખાતે પહોંચ્યા હતાં જ્યાંથી વારાણસી પહોંચી કાશી વિશ્વનાથ અને ગંગા નદી કિનારે ઘાટનાં દર્શન કર્યાં હતાં. જ્યાંથી કમલેશ અને અક્ષય અયોધ્યા ભગવાન શ્રીરામના મંદિરે પહોંચ્યા હતા, ત્યાર બાદ મહાકુંભમાં 12 ફેબ્રુઆરીએ પહોંચ્યા હતા. તા. 12 ફેબ્રુઆરીએ શાહી સ્નાન અંતર્ગત પૂનમનું સ્નાન હતું. જેથી બંને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા માટે પહોંચી ગયા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું. બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વીડિયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલાં કમલેશ ડૂબકી લગાવવા સંગમમાં ઊતર્યો હતો. એક, બે, ત્રણ એમ છ ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો, જેથી કિનારે ઊભેલો મિત્ર અક્ષય સ્તબ્ધ થઈ ગયો હતો. તાત્કાલિક નજીકમાં ઊભેલા પોલીસકર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અને NDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. અક્ષયે આ મામલે પરિવારને જાણ કરી હતી. પરિવારજનો પણ પ્રયાગરાજ પહોંચ્યા હતા. 14 દિવસ બાદ પણ કમલેશની કોઈ ભાળ મળી નહોતી. જેથી પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. કમલેશનાં બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું હતું. કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યાં હતાં.
પુત્ર ત્રિવેણી સંગમ ખાતે ડુબી ગયો હોવાના સમાચાર મળ્યા ત્યારે વઘાસિયા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. હિંમત રાખી જ્યારે આ પરિવારના મોભીઓએ યુપી સરકારના તંત્રનો સંપર્ક કર્યો ત્યારે તેમને હૈયાધરપત મળી હતી કે, ડુબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ 30થી 35 કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન સહિતના લોકો પ્રયાગરાજમાં આઠ દિવસ સુધી રહ્યાં હતાં. જોકે, કમલેશની કોઈ ભાળ મળી ન હતી. ઘરે પણ પરિવાર દીકરો મળી જાય તેવી આશા રાખીને બેઠો હતો. જોકે, ત્યારબાદ ઘરમાં રડતી માતા અને પત્ની સહિતનાઓને ધ્યાનમાં રાખીને પરિવારજનો દ્વારા ભારે હૈયે એક કઠોર નિર્ણય લેવામાં આવ્યો હતો. 12 ફેબ્રુઆરીએ કમલેશનું મોત થયું હોય એવું માનીને 21 ફેબ્રુઆરીએ તેનું બેસણું રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ 24 ફેબ્રુઆરીએ તેનું બારમું (પાણીઢોળ) પણ કરી નાખવામાં આવ્યું હતું. કમલેશના ગુમ થવાને આજે 14-14 દિવસ વીતી ગયા છે અને પરિવાર સાથે મિત્ર વર્તુળ પણ કમલેશનાં અંતિમ દર્શન માટે તરસી રહ્યું છે. આટલા દિવસો વીતી ગયા છતાં મૃતદેહ કેમ મળી નથી આવ્યો? એ બાબતની ચિંતા મોટાપાયે વ્યક્ત થઇ રહી છે.
ગુજરાત સરકાર આ બાબતે વધુ દરમિયાનગીરી કરે તેવો મત સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મામલે મંત્રી મનસુખ માંડવિયા, સી.આર. પાટીલ સહિતનાને રજૂઆત કરવામાં આવી છે. કમલેશ વહેલામાં વહેલી તકે મળે તેવી રજૂઆત કરી છે. અને ન મળે તો તેના મરણ દાખલો મેળવવામાં મદદ કરવા માટે ગુહાર લગાવી રહ્યા છે. માતા-પિતા, ભાઈ-ભાભી, પત્ની અને બે સંતાનો કમલેશનાં અંતિમ દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યાં છે. કમલેશની તસવીર જોતાં જ પરિવારજનો રડી પડે છે. જ્યારે કમલેશની પત્ની મક્કમ થઈને પોતાનાં બે સંતાનોને રાખી રહી છે. દીકરી મોટી હોવાથી તેને તેના મામાના ઘરે મૂકી આવ્યાં છે. જ્યારે દીકરો હજુ બે વર્ષનો પણ નથી અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. માસૂમ બાળકને તો તેના પિતા રહ્યા નથી તે પણ જાણ નથી. આ તમામની સ્થિતિ જોઈને પરિવારજનોની પણ આખો ભીની થઈ જાય છે. 26 ફેબ્રુઆરીએ મહાકુંભ પૂર્ણ થઈ ગયો છે, ત્યારે કમલેશનો કોઈ પત્તો લાગે તેવી આશા પરિવાર સેવી રહ્યો છે. આ સાથે જ પરિવારજનો પ્રયાગરાજ ગયાં હતાં તેઓ હાલ પણ ત્યાંના પોલીસ તંત્ર સહિતના સાથે સંપર્કમાં છે. મહાકુંભ સમાપ્ત થયા બાદ આ મામલે વધુ તપાસ કરવામાં આવે અને કમલેશનો કોઈ પત્તો લાગે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ સાથે જ અન્ય કાર્યવાહી પણ થાય તેવી શક્યતાઓ પરિવાર જોઈ રહ્યું છે.
