મૃત ખેડૂતની છાતી પર જ બેસી રહી સિંહણ.. યુવકને દબોચી ઢસડી ગઈ, અડધું શરીર ફાડી ખાધું

Spread the love

 

અમરેલી

અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલા સતત વધી રહ્યા છે. ત્યારે જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામથી વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે. સિંહણ એટલી આક્રમક હતી કે ખેડૂતના મૃતદેહનો કબજો મેળવવા વન વિભાગને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક સિંહણ આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતાં એમણે સિંહણને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી આક્રમક હતી કે ગણતરીની મિનિટોમાં સિંહણે મંગાભાઇનું પેટ ચીરી નાખ્યું હતું. આ ઘટનાની જાણ આજુબાજુના વાડીના ખેડૂતોને થતાં તેમણે તરત ગ્રામજનો અને વનવિભાગને આ અંગે જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ વનવિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સિંહણ એટલી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઇ હતી અને મૃતદેહ પરથી હટતી નહોતી. જેથી વનવિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઇ સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દુર કરી હતી. આ બાદ શેત્રુંજી ડિવિઝનના DCF જયંત પટેલ અને ACF વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વનવિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરી ટ્રાન્ક્વીલાઈઝર આપીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. આ અંગે DCF જયંત પટેલે જણાવ્યું કે, ગ્રામજનોએ ઘટનાની જાણ કરતાં જ અમારી ટીમ અહીં પહોંચી હતી. આ વિસ્તારમાં અગાઉથી સિંહણની અવરજવર હોવાની જાણ ગ્રામજનોએ વનવિભાગને કરી હતી. હાલ સિંહણને પકડી લેવામાં આવી છે. અમે આ વિસ્તારમાં અવરનેસ કાર્યક્રમ પણ કરીએ છીએ. લોકોને મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી અંધારામાં બહાર જવાનું ટાળો અને જવું પડે તો સાથે ટોર્ચ અને લાકડી લઇને નીકળો અને જો સિંહ-સિંહણ કે દીપડા જેવાં વન્ય પ્રાણીઓ જોવા મળે તો વનવિભાગને જાણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *