પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
ધારાસભ્યોશ્રી તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી, પીવાના પાણી, ખેડૂતોના પ્રશ્નો, રસ્તા, દબાણ સહિતના પ્રશ્નો ઉપર વહીવટીતંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારીમંત્રીશ્રીની સૂચના
ભુજ, શનિવાર
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.
બેઠકમાં ધારાસભ્યોશ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની પ્રભારીમંત્રીશ્રીએ સમીક્ષા કરી હતી. કચ્છમાં ભુકંપ સંલગ્ન રજૂ થયેલા તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આજની બેઠકમાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ મનરેગા, નર્મદા કેનાલને લગતા પ્રશ્નો, ગૌચર, બિસ્માર રોડ, તળાવ સુધારણા, બિસ્માર શાળાના મકાન, શાળામાં નવા ઓરડાની જરૂરીયાત, લો-વોલ્ટેજ સમસ્યા, સ્ટોરેજ ટેન્કના કામ, પીવાના પાણી, પેચવર્ક, તથા નાંદા રણમાં બનેલા રોડની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ દબાણ, પાર્કિંગ સહિતના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ ગૌચર દબાણ, વાંઢીયાના પેટા કેનાલની અધુરી કામગીરી, આધારકાર્ડમાં સુધારા દરમિયાન થતી સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે ભારાસર ૬૬ કે.વી સબસ્ટેશનના કામમાં થતો વિલંબ, ભુજ બાયપાસ રોડને સંલગ્ન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ ચેકડેમ, તળાવની સ્થિતિ, વયવંદના યોજના,તારની ફેન્સિંગ યોજના સહિતની માહિતી સંબધિત અધિકારીશ્રીઓ પાસેથી મેળવીને સંલગ્ન જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે ટોલ પ્લાઝા, ચેકડેમ, ભારાપર-બળદિયા કેરા માર્ગ, અંજાર બાયપાસ સંલગ્ન રજૂઆત સાથે અંજાર સ્ટેડીયમના રીનોવેશન તથા સુધારણાને લઇને રજૂઆત કરી હતી.
અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વાહન પાસિંગમાં ખાનગી સેન્ટરોથી મુ્શ્કેલી, ઘરેલું વીજ જોડાણ, સરગુઆરાની જર્જરીત આંગણવાડી તથા શાળા, જખૌની જર્જરીત શાળા, ખનીજચોરી, પંચાયત ઘરના બાકી કામ, ઘોરાડ અભ્યારણ્યને સંલગ્ન પ્રશ્ન, આરોગ્ય, પાણી, રોડ તથા સહિતના પ્રશ્નો મુકયા હતા. જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરીએ લેન્ડ કમિટી,મફત પ્લોટ યોજના, વીજ કનેકશન, સરકારી પડતર તથા ગૌચરમાં દબાણ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદે પ્રભારીમંત્રીશ્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. કલેક્ટરશ્રી આનંદ પટેલે રજૂ કરાયેલા પ્રશ્નો મુદે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ એસ.પીશ્રી સાગર બાગમાર, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મિતેશ પંડયા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.પી.ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ તથા જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.