પહેલગામ બાદ ગુજરાત પર જોખમ, એલર્ટ જાહેર થતા CM ની ઉચ્ચસ્તરીય બેઠક, રાજ્ય પોલીસના રોડ પર ધામા

Spread the love

 

જમ્મૂ કશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હાલ તો દેશના તમામ મહત્વના રાજ્યો અને શહેરો માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાગી છુટેલા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સેના અને પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમગ્ર દેશમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોકોમાં ભારે રોષની લાગણી છે. બીજી તરફ ગુજરાતમાં પણ હાઇએલર્ટ જાહેર કરવામાં આ્યું છે. ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરની પોલીસને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. ગુજરાતી પ્રવાસીને લઈને ગાંધીનગરમાં બેઠક આયોજીત કરી છે.

ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક

ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોના મોત અને હાઇએલર્ટ જાહેર કરવામાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં બોલવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષીકેશ પટેલ મુખ્યમંત્રી સાથે કાર્યાલયમાં પહેલાથી જ હાજર છે. મુખ્ય સચિવથી માંડીને રાહત કમિશ્નર ઉપરાંત રાજ્ય પોલીસ વડા પણ બેઠકમાં હાજર છે. આ ઉપરાંત તમામ શહેરોના કમિશ્નર અને જિલ્લા એસપી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાશે.

આજે ત્રણેય મૃત ગુજરાતીઓના દેહ અમદાવાદ લવાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જમ્મુ કશ્મીરથી 3 ગુજરાતી પ્રવાસીઓના પાર્થિવ દેહ વતન લાવવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ કશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને કાઢવા માટે પણ બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ચુક્યો છે. ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક ચાલી રહી છે.

પહેલગામ બાદ ગુજરાતમાં હાઇએલર્ટ

પહેલગામ હુમલા પછી ગુજરાતમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના મંદિરો,રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારી દેવામાં આવી છે. અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરો અને શહેરમાં પોલીસને પેટ્રોલિંગ વધારવા અને ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સુચના આપવામાં આવી છે. સ્ટેટ આઇબીને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. કાંઇ પણ શંકાસ્પદ જણાય તો તત્કાલ કાર્યવાહીના આદેશ અપાયા છે. આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે, કાંઇ પણ શંકાસ્પદ જણાય તો તત્કાલ અસરથી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવા સૂચના અપાઇ છે.

સમગ્ર રાજ્ય હાઇએલર્ટ પર

આ ઉપરાંત રાજ્યના મહત્વના સ્થળો પર પણ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મંદિરો,રેલવે સ્ટેશન અને એરપોર્ટ, પર્યટન સ્થળો અને જ્યાં ભીડભાડ વધુ હોય તેવા તમામ સ્થળો પર લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. બીજી તરફ આદેશ મળતાની સાથે જ પોલીસ દ્વારા રાજ્યના સીમા વિસ્તારોમાં ચેકિંગ ચાલુ કરી દેવાયું છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યનો પોલીસ કાફલો રસ્તા પર ખડકી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *