જેતલપુરમાં પાણીની ટાંકીનુ લીકેજ રીપેર કરવા જતા કરંટ લાગતા બે યુવકના મોત થયા

Spread the love

 

શહેરના છેવાડે જેતલપુરમાં આવેલી એક એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર પાણીની ટાંકીમાં લીકેજ થતુ હોઈ તપાસ કરવા માટે સીડી મુકવા જતા ઉપરથી પસાર થતા હાઈટેન્શન ઈલેકટ્રીક વાયરને અડી જતા બે કર્મચારીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. આ સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જેતલપુરમાં આવેલી આરાધના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી એન્જીનીયરીંગ કંપનીના ધાબા પર મુકેલી પાણીની ટાંકીમાં લીકેજ થતુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ અંગે રીપેરીંગની કામગીરી કરવા માટે કંપનીમાં કામ કરતા દસ્ક્રોઈમાં રહેતા કૃત પટેલ( ઉ.24) અને ખેડાના લાલી ગામના હિતેન્દ્રભાઈ પરમાર સહિત ત્રણ વ્યકિતઓ સોમવારે લોખંડની સીડી લઈને ટાંકીનુ લીકેજ ચેક કરવાની કામગીરી કરવા માટે આગળ વધ્યા હતા. આ સમયે સીડી લેતી વખતે બાજુમાંથી પસાર થતા જીઈબીના હાઈટેન્શન વાયરને સીડી અડી જતા તેમાંથી ઈલેકટ્રીક કરંટ પસાર થઈને સીડી પકડીને ઉભા રહેલા કૃત પટેલ અને હિતેન્દ્રભાઈ પરમારના શરીરમાં ઝાટકાભેર પસાર થતા બંને સીડી સાથે નીચે પટકાઈ ગયા હતા આ સમયે ઉભેલા બે વ્યકિતઓએ બૂમાબૂમ કરતા કંપનીના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. જો કે એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય તે પહેલા બંનેનુ પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે નારોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *