
રાજકોટ
રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, નર્સની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. મૃતક નર્સ આ પહેલા અમદાવાદમાં ફરજ બજાવતા હતા ચાર મહિના પહેલા તેની રાજકોટ બદલી થતા તેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા. નર્સની હત્યા મામલે કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે, GCRIના નિયામક સામે તેના સ્ટાફ દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે. મૃતક નર્સની સામાન્ય કારણોસર રાજકોટ બદલી કરી દેવામાં આવી હતી. તેઓ સલામતી મુદ્દે રજૂઆત માટે આવ્યા હતા પરંતુ, કોઈએ મુલાકાત કરી ન હતી અને ત્યારબાદ તેની હત્યા થઈ ગઈ.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા’ નામના મકાનમાં ઉપરના માળે છેલ્લા ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.53)ની ગઈકાલે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી છે. હત્યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્યાની શક્યતાએ પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી છે.
ઋષિકેશ પાર્ક-2માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના બે માળના મકાનમાં નીચેના માળે નિલમબેન અને તેમના પતિ પિયુષભાઇ દલસાણીયા રહે છે અને ઉપરના માળે મુળ અમદાવાદના કુહા ગામના વતની ચૌલાબેન પટેલ રહે છે. રાત્રે ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ ગયાની જાણ 108 મારફત થતાં યુનિવર્સિટી પોલીસ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્સ. જયંતિભાઇ, સિધ્ધરાજસિંહ તેમજ ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા પણ પહોંચી ગયા હતાં. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો.
પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યુ હતું કે હત્યાનો ભોગ બનેલા મહિલા રાજકોટ કેન્સર હોસ્પિટલમાં કીમોથેરાપી વિભાગમાં નર્સ તરીકે નોકરી કરતાં હતાં. તેમની બદલી ચાર મહિના પહેલા જ અમદાવાદ સિવિલથી રાજકોટ થઇ હતી. અહિ તે ભાડેથી એકલા જ રહેતાં હતાં. જયારે હત્યાનો આરોપી પડોશમાં જ રહેતો કાનજી ભીમાભાઇ વાંજાને પડોશીઓએ પુરીને રાખ્યો હોઇ જેથી પોલીસે આવી તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે એવુ રટણ કર્યુ હતું કે રાતે મને બોલાવવામાં આવતાં હું ગયો હતો અને માથાકુટ થયા બાદ મારા પર હુમલો થતાં મેં વળતો પ્રહાર કર્યો હતો. જો કે તેની આ વાત પોલીસને ગળે ઉતરતી ન હોઇ વિશેષ પુછતાછ થઇ રહી છે.
હત્યાનો ભોગ બનેલા ચૌલાબેન પટેલ એક ભાઇથી નાના હતા. અગાઉ લગ્ન કર્યા હતા પણ પતિ સાથે મનમેળ ન થતા તેમને થોડા સમયમાં છૂટાછેડા લઇ લીધા હતા. તેઓ છેલ્લ 24 વર્ષથી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં હતાં અને ગત ફેબ્રુઆરીમાં જ રાજકોટ બદલી થતાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં. આગામી મહિને ફરી તેની બદલી અમદાવાદ થવાની હોવાનું તેઓ પડોશીને કહેતાં હતાં. હત્યાના બનાવની જાણ થતાં કુહા ગામેથી હત્યાનો ભોગ બનનાર ચૌલાબેનના મોટા ભાઇ શીવાંગભાઇ ત્રિભોવનદાસ પટેલ સહિતના સગા સંબંધીઓ રાજકોટ દોડી આવ્યા હતાં. પોલીસે તેમના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વધુ પૂછતાછ હાથ ધરી છે. હત્યા નિપજાવનારો કાનજી ભીમાભાઇ વાંજા 34 વર્ષનો છે અને છુટક કામ કરે છે. તેની પત્નિ નાના મવા રોડ પર ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. કાનજીને સંતાનમાં બે પુત્ર 11 અને 9 વર્ષના છે. તેની પત્નિએ પોતાને આ ઘટના બાબતે કોઇ જાણકારી નહિ હોવાનું રટણ કર્યુ હતું.