જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના સંદર્ભે અમદાવાદમાં યોજાઈ ‘સંત સુરક્ષા મહારેલી’:

Spread the love

 

 

વર્ગવિગ્રહ ફેલાવતા સંગઠનો સામે UAPA હેઠળ કાર્યવાહી કરવા, હેટ સ્પીચનું સાહિત્ય બ્લોક કરવા અને સંતો માટે સુરક્ષિત પગદંડી બનાવવા પ્રબળ માંગ આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજી

સંતોને ‘રાષ્ટ્રીય સંપત્તિ’ જાહેર કરવાની પ્રબળ માંગ- આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજી

જૈન સંતો સાથેની આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, પરંતુ ટાર્ગેટેડ કિલિંગ (targeted killing) અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા (cool-minded sponsored murder) છે.

 

 

 

 

અમદાવાદ,

જૈન સંતોની અકસ્માતના ઓઠા હેઠળ થઈ રહેલી નિર્મમ હત્યાના વિરોધમાં આજે અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ જૈન શ્રાવક-શ્રાવિકાઓએ અત્યંત વેદના, પીડા અને આક્રોશ સાથે એકત્રિત થઈ એક વિશાળ ‘સંત સુરક્ષા મહારેલી’નું આયોજન શ્રી તપાગચ્છ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મહાસંઘ, અમદાવાદ અને શ્રવણીગણ નાયક આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજી મ.સા. આચાર્યશ્રી રાજહંસ સૂરિજી મ.સા.,આચાર્યશ્રી વિતરાંગ યશ સૂરિજી મ.સા.ના નેતૃત્વમાં તથા આચાર્યશ્રી ઉદયકીર્તિ સાગરસૂરિજી, આચાર્યશ્રી શીલરત્ન સૂરિજી,આચાર્યશ્રી ભવ્યરત્ન સૂરિજી, અને મુનિશ્રી ધૂરવીર વિજયજી,મુનિશ્રી હંસબોધી વિજયજી દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજ્ય આચાર્ય ભગવંતો અને આદિ ૨૦૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં, ગંભીર અને સંવેદનશીલ માહોલમાં આ રેલી શ્રી રેવા જૈન સંઘ, વાસણાથી શરૂ થઈ ધરણીધર ચાર રસ્તા, મહાલક્ષ્મી પાંચ રસ્તા, પાલડીના માર્ગે થઈને પ્રીતમ નગર અખાડા ખાતે એક વિરાટ સભામાં પરિણમી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબંધિત કરતા અહીં આયોજકોએ ભારતના આદરણીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે, આ પંચમ કાળમાં જ્યારે દુનિયા ભોગ-વિલાસ પાછળ દોડી રહી છે, ત્યારે જૈન સંતો સાંસારિક સુખોનો ત્યાગ કરીને જન-જનના કલ્યાણ માટે જ્ઞાન, સાધના અને કઠોર તપસ્યા કરી રહ્યા છે. આવા ત્યાગી, તપસ્વી અને વૈરાગી સંતો પર થઈ રહેલી અકસ્માત રૂપી નિર્મમ હત્યાઓ સામે સમગ્ર વિશ્વના ધર્મપ્રેમી લોકોમાં ભારે દુઃખ અને પીડાની લાગણી વ્યાપેલી છે.

આ ઉપરાંત રેલીને સંબંધિત કરતા આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજી મ.સાહેબે કહ્યું કે આ રેલીનું આયોજન તાજેતરમાં રાજસ્થાનના પાલી જિલ્લા પાસે જૈનાચાર્ય શ્રી પુંડરીકરત્નસૂરિજી મહારાજ, ગુજરાતના બારડોલીમાં મુનિ શ્રી અભિનંદનજી, ભરૂચ પાસે મહાસતીજી સહિત અને અનેક શંકાસ્પદ માર્ગ અકસ્માતની ઘટનાઓ છે. જૈનોનું દ્રઢપણે માનવું છે કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, કારણ કે દરેક ઘટનામાં એક સમાન કાર્યપદ્ધતિ (modus operandi) દેખાય છે.વાહનચાલકને કોઈ ઈજા થતી નથી, વાહનને નુકસાન થતું નથી, અને વાહન માર્ગની નીચે ખાડામાં ઉતરવાને બદલે સંતને ઇરાદાપૂર્વક કચડીને ફરાર થઈ જાય છે. આ સ્પષ્ટપણે સંયોગ નહીં, પરંતુ ટાર્ગેટેડ કિલિંગ (targeted killing) અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા (cool-minded sponsored murder) છે.

આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજીએ વધુમાં કહ્યું કે રેલીમાં મુખ્યત્વે એ માંગ પર ભાર મુકવામાં આવ્યો કે ત્યાગ અને તપસ્યાની મૂર્તિ સમાન જૈન સંતોને સરકારે તાત્કાલિક ‘રાષ્ટ્રીય સંપત્તિ’ (National Asset) જાહેર કરવા જોઈએ. આ ઘોષણા તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય અને નૈતિક પગલું સાબિત થશે. પ્રકરણની ગંભીરતા અને સંભવિત આંતર-રાજ્ય ષડયંત્રને ધ્યાનમાં રાખીને, માનનીય ઉચ્ચતમ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ તાત્કાલિક એક ઉચ્ચ-સ્તરીય વિશેષ તપાસ દળ (SIT) ની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, દોષિતોને ઝડપી સમય મર્યાદામાં સજા માટે કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં રાજ્યની રાજધાનીમાં ચલાવવામાં આવે,આ ઉપરાંત આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજીએ કહ્યું કે જૈન ધર્મ અને સંતો વિરુદ્ધ સતત દ્વેષપૂર્ણ પ્રચાર કરતા સંગઠનો સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) જેવા કઠોર કાયદાઓ હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે. આ કાયદાઓ હેઠળ ઘટનાના મુખ્ય સૂત્રધારો, તેમના હેન્ડલર્સ, સ્લીપર સેલ અને તેમને આર્થિક તથા લોજિસ્ટિકલ સમર્થન આપનારા તત્વોને શોધી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તેમના અડ્ડાઓં અને સ્થાનો નાબુદ કરવામાં આવે. વધુમાં, હેટ સ્પીચ દ્વારા રાષ્ટ્રીય એકતા અને કાયદો-વ્યવસ્થા માટે પ્રાણઘાતક બનેલા પ્રકાશનો, સાહિત્યો, વેબસાઇટ્સ, વીડિયો, પોસ્ટ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના URL ને કાયમ માટે બ્લોક કરી પ્રતિબંધિત કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.

વધુમાં આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજીએ કહ્યું કે આવેદનપત્રમાં પદયાત્રી સંતોની સુરક્ષા માટે ઠોસ પગલાં લેવા પણ માંગ કરાઈ છે. જે અંતર્ગત, સંતોના વિહારના માર્ગો પર વાહનોથી અલગ અને સુરક્ષિત પગદંડીઓ (Pedestrian Pathways) નું નિર્માણ કરવા માટે ભારપૂર્વક માંગ કરવામાં આવી છે, જેથી આવા જીવલેણ અકસ્માતોને ટાળી શકાય. આ સાથે જ, વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને એ ભાવના કેળવવાની માંગ કરવામાં આવી કે ‘સંતો રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિ છે અને તેમની સુરક્ષા કરવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે’.

આ ઉપરાંત આચાર્યશ્રી રશ્મિરત્ન સુરિશ્વરજીએ વધુમાં કહ્યું કે શાળા-કોલેજોના અભ્યાસક્રમોમાં જૈન સંતોના ત્યાગમય જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનનો પરિચય સામેલ કરવાની પણ માંગ કરાઈ હતી.
જૈન સંતો માત્ર આધ્યાત્મિક પ્રેરણાના દાતા જ નથી, પરંતુ તેમના માર્ગદર્શનથી કુદરતી આપત્તિઓ સમયે રાહતકાર્યો, વ્યસનમુક્તિ, અને સદાચાર પ્રચાર જેવા અનેક સેવાના પ્રકલ્પો સમાજમાં ચાલી રહ્યા છે. આવા મૌન રાષ્ટ્રસેવકોની સુરક્ષા એ રાષ્ટ્રની પ્રાથમિકતા હોવી જોઈએ. જૈન સમાજે આશા વ્યક્ત કરી છે કે સરકાર આ અત્યંત ગંભીર મામલે તાત્કાલિક સંજ્ઞાન લઈ દોષિતોને કઠોરમાં કઠોર સજા અપાવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ઠોસ પગલાં ભરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *