અમદાવાદ
ગુજરાતમાં મંત્રીમંડળનો બદલાવ હંમેશા ચર્ચાનો વિષય રહેતો હોય છે. ગુજરાતમા લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફાર અને નવાજૂનીની વાતો ચાલી રહી છે, પરંતું આ મુદ્દે કોઈ સ્પષ્ટ સંકેત મળી નથી રહ્યાં. ત્યારે અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે મંત્રીમંડળમાં ક્યારે ફેરફાર થશે તેની તારીખ સાથે આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી પર સૌની નજર હોય છે. વરસાદની સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત હવામાન નિષ્ણાત ગ્રહોની સ્થિતિ જોઈને દેશદુનિયાની સ્થિતિની પણ આગાહીઓ કરતા હોય છે. ત્યારે અંબાલાલ પટેલે હાલ જે ભવિષ્યવાણી કરી છે તે ચોંકાવનારી છે. તેમણે ઓગસ્ટ મહિનામાં રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતનું મંત્રીમંડળ બદલાશે તેવી લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતું અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી છે. ગ્રહોની સ્થિતિના આધારે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ઓગસ્ટ મહિનામાં ફેરફારની શક્યતા હોવાનું ગ્રહો સૂચવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચા ઉઠી રહી છે. ગુજરાત સરકારમાં હાલ મુખ્ય મંત્રી સિવાય 8 કેબિનેટ મંત્રીઓ છે અને 8 રાજ્ય કક્ષાના મંત્રીઓ છે. જેમાં હવે વધારો થવાની પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. કેબિનેટ વિસ્તરણમાં જૂના ભાજપના નેતાઓ કોંગ્રેસીઓને આપવામાં આવતા સ્થાનથી નારાજ છે. છતાં હાઇકમાન્ડના આદેશ અને પૂર્વ કોંગ્રેસીઓને આપવામાં આવેલા વચન મુજબ ભાજપ તેમનો સમાવેશ મંત્રી મંડળમાં કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મંત્રી મંડળ વિસ્તરણ મુદ્દે ભાવિ મંત્રીઓને અણસાર પણ આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકેના નામમાં હાઇ કમાન્ડમાં ગૂંચવણ અને મૂંઝવણ ઊભી થઈ છે. જેમાં હજી સુધી ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો નથી.
મંત્રીમંડળ વિસ્તરણ સાથે રાજ્ય સરકારના અગત્યના ખાતાઓની પણ ફેર વહેંચણી કરવામાં આવશે જેમાં ભારણ અને વધુ પડતી જવાબદારીમાંથી હાલના મંત્રીઓનો ભાર ઓછો કરી અન્ય મંત્રીઓને કાર્યભાર સોંપવામાં આવશે.
