ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં 11-11 આરોપીઓને આજીવન કેદ

Spread the love

 

મોરબી તાલુકાની હદમાં લીલાપર ગામ નજીક આવેલ વજેપર ગામના સર્વે નંબરની જમીનનો વિવાદ ચાલતો હતો જેથી વર્ષ 2018 માં જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો જે બનાવમાં એકી સાથે ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી જે ત્રીપલ હત્યાનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલ તથા રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાન રાખીને કોર્ટે 11 આરોપીઓને આજીવન કેદની સજા અને દરેકને 56-56 હજારનો દંડ ફટકાર્યો છે.

વર્ષ 2018ન ઓગસ્ટ મહિનાની 12 મી તારીખે મોરબી નજીકના લીલાપર ગામ પાસે બોરીયા પાટી નજીક આવેલ ખેતીની જમીનના વિવાદમાં રાત્રિના સમયે જુદા જુદા છ બાઈક ઉપર આવેલા 12 શખ્સો દ્વારા લાકડી, પાઇપ ધોકા, ટામી જેવા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે ત્યાં વાડીએ હાજર રહેલા દિલાવર પઠાણ, અફઝલ પઠાણ અને મોમીન પઠાણ નામના ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી.

જે બનાવ સંદર્ભે મૃતક વ્યક્તિના દીકરા વસિમભાઇ પઠાણએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 12 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યા, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓ મોરબીની સબ જેલમાં હતા દરમ્યાન શુક્રવારના રોજ મોરબીની સેશન્સ કોર્ટે હત્યાના આ કેસમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ હત્યાના આ કેસમાં સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા રજુ કરવામાં આવેલ આધાર પુરાવાઓ, જુદીજુદી કોર્ટના ચૂકદાઓને ધ્યાને લઈને તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને રાખીને સેશન્સ કોર્ટના જજ ડી.પી. મહિડા સાહેબ દ્વારા હત્યાના ચકચારી કેસમાં કુલ મળીને જે 12 આરોપીઓ હતા તે પૈકીના 1 આરોપી શીવાભાઈ રામજીભાઇનું જેલમાં અગાઉ અવસાન થયું હતું.

જોકે બાકીના 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે તથા જુદી જુદી કલમ હેઠળ દરેક આરોપીને 56,000 નો દંડ કરવામાં આવ્યો છે અને આરોપીઓ દ્વારા દંડની રકમ ભરવામાં આવે તેમાંથી જે ત્રણ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી તેના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવા માટેનો ચુકાદો આપવામાં આવ્યો છે.

જે આરોપીઓને સજા કરવાં આવી તેમાં ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતિભાઈ નારણભાઈ, અશ્વિનભાઈ જીવરાજભાઈ, ભરતભાઈ જીવરાજભાઈ, ધનજીભાઈ મનસુખભાઈ, કાનજીભાઈ મનસુખભાઈ, જીવરાજભાઈ રામજીભાઈ, મનસુખભાઈ રામજીભાઈ, પ્રવીણભાઈ શિવાભાઈ, કિશોરભાઈ શીવાભાઈ અને સંજયભાઈ નારણભાઈનો સમાવેશ થાય છે.

મોરબીમાં ચકચાર મચાવી દેનારા ત્રિપાલ હત્યાના આ કેસમાં તમામે તમામ આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આવો ચુકાદો ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યો હશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. કેમ કે, કોઈ એક ગુનામાં એકથી વધુ આરોપી હોય તો તેઓને ઓછી વધતી સજા કરવામાં આવે તેવું બનતું હોય છે પરંતુ આ કેસમાં તમામે તમામ આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ પરિવારે પણ કોર્ટના ચુકાદાથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

નજરે જોનાર સાક્ષીના વકીલ અરૂણભાઈ મહેતાએ રજૂ કરેલ દલીલ-ચુકાદાઓ મહત્વના સાબિત થયા
મોરબીની સેશન્સ કોર્ટમાં હત્યાના કેસમાં જે ઐતિહાસિક ચુકાદો આવેલ છે તેમાં નજરે જોનાર સાક્ષી રૂકસાનાબેન દિલાવરખાન પઠાણ, હાફિઝાબેન દિલાવરખાન પઠાણ અને મહેઝબીનબેન મોમીનખાન પઠાણની તરફે મોરબીના સિનિયર વકીલ અરૂણભાઇ યુ. મહેતા રોકાયેલા હતા.

તેઓએ આ કેસમાં 126 પાનાની લેખિત દલીલ તથા સુપ્રીમ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટના કુલ મળીને 31 જજમેન્ટો રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં ત્રિપાલ મર્ડર કેસમાં આરોપીઓને સજા કરી હતી તેવી માહિતી વકીલ અરૂણભાઇ યુ. મહેતાએ આપેલ હતી અને આ ચુકાદા બાદ ભોગ બનેલા પરિવારે અરૂણભાઇ યુ. મહેતાએ કરેલ મહેનત બદલ તેઓની પ્રસંશા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *