કોરોનાના નવા વેરિઅન્ટને કારણે એક મહિનામાં 135ના મોત

Spread the love

 

છેલ્લા 2 અઠવાડિયાથી દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 30 નવા કેસ નોંધાયા છે, જ્યારે 252 દર્દીઓ સ્વસ્થ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2086 થઈ ગઈ છે. 12 જૂને દેશભરમાં 7131 એક્ટિવ કેસ હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી કોરોનાના નવા વેરિઅન્ટને કારણે 142 લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા દિવસમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં દિલ્હીના 2 અને હરિયાણાના એક દર્દીનો સમાવેશ થાય છે. છેલ્લા એક મહિનામાં લગભગ 135 મૃત્યુ થયા છે. ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી)ના ડિરેક્ટર ડૉ. નવીન કુમારે જણાવ્યું હતું કે – સિંગાપોરમાં ફેલાઈ રહેલ નિમ્બસ (NB.1.8.1) વેરિઅન્ટના કેસ ભારતમાં પણ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 5-6 અઠવાડિયામાં આ કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અમે ટેસ્ટિંગમાં વધારો કર્યો છે. હાલમાં, આ વેરિઅન્ટમાં ઓમિક્રોન જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા સૂચનાઓ જારી કરી છે. મુખ્ય આરોગ્ય અધિકારીઓએ તમામ હોસ્પિટલોને જરૂરી દવાઓ, પીપીઈ કીટ, ટેસ્ટિંગ સુવિધાઓ, આઇસોલેશન બેડ, ઓક્સિજન સિલિન્ડર, આઈસીયુ અને વેન્ટિલેટર તૈયાર રાખવા જણાવ્યું છે. કેરળ રાજ્યમાં આરોગ્ય વિભાગે હોસ્પિટલોને કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર કરતી વખતે જૂન 2023 માં જારી કરાયેલ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાની સૂચના આપી છે. હોસ્પિટલોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત, શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં ગુલબર્ગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે 25 બેડનો કોવિડ વોર્ડ બનાવ્યો છે. આમાંથી પાંચ બેડ ICU (વેન્ટિલેટર સહિત), હાઇ ડિપેન્ડન્સી યુનિટ અને પાંચ સગર્ભા સ્ત્રીઓ માટે છે. બાકીના 10 સામાન્ય બેડ છે.
ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા વેરિઅન્ટ મળ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિઅન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 કેટેગરીના છે. અન્ય સ્થળોએથી સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નવા વેરિઅન્ટ શોધી શકાય. આ કેસ બહુ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવધાન રહેવું જોઈએ, જોકે WHOએ આને ચિંતાજનક ગણ્યું નથી, પરંતુ એને દેખરેખ હેઠળના વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કર્યા છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ વેરિઅન્ટ જોવા મળી રહ્યો છે, જોકે A435S, V445H, અને T478I જેવા NB.1.8.1 ના સ્પાઇક પ્રોટીન મ્યુટેશન અન્ય વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોવિડ સામે વિકસિત રોગપ્રતિકારક શક્તિ પણ એના પર અસર કરતી નથી. કોવિડનો JN.1 વેરિઅન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. ટેસ્ટિંગમાં અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિઅન્ટ જોવા મળે છે. આ પછી BA.2 (26 ટકા) અને ઓમિક્રોન સબલાઇનેજ (20 ટકા) વેરિઅન્ટના કેસ પણ જોવા મળે છે.
JN.1એ ઓમિક્રોનના BA2.86નો એક સ્ટ્રેન છે. એ પહેલીવાર ઓગસ્ટ 2023માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં WHOએ એને ‘વેરિઅન્ટ એફ ઇન્ટરેસ્ટ’ જાહેર કર્યો. એમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN.1 અન્ય વેરિઅન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ એ બહુ ગંભીર નથી. એ વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિઅન્ટ છે. JN.1 વેરિઅન્ટનાં લક્ષણો થોડા દિવસોથી અઠવાડિયાં સુધી રહી શકે છે. જો તમારાં લક્ષણો લાંબા સમય સુધી રહે છે, તો તમને લાંબા સમય સુધી કોવિડ હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે, જેમાં કોવિડ-19નાં કેટલાંક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *