ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બિઝનેસમેન તથા લોકો ફરવા માટે વિદેશ જતા હોય છે. વિદેશ જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પરંતુ થાય એવું છે કે જયારે પાસપોર્ટ માટે અરજી કરો, એ પછી જયારે પાસપોર્ટ સેન્ટરમાં જવાનું હોય ત્યારે ઘણી સમસ્યાઓ આવતી હોય છે. ત્યારે હવે અમદાવાદમાં બાપુનગર ખાતે નવું પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલી રહ્યું છે, જ્યાં આવી સમસ્યાઓ ઘટી જશે.અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર આગામી અઠવાડિયાથી શરૂ થશે.
7 જુલાઈથી શરૂ થતા આ કેન્દ્રની ક્ષમતા 2 હજાર અરજદારની છે. આ કેન્દ્ર શરૂ થઈ ગયા પછી મીઠાખળી પાસપોર્ટ કેન્દ્ર બંધ કરી દેવામાં આવશે. નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ હશે, જેમાં કુલ મળીને 36 કાઉન્ટર હશે.7 જુલાઈએ 20 અરજદારોને બોલાવીને ટ્રાયલ કરવામાં આવશે, જેથી જો કોઈ સમસ્યા હોય તો તે જાણી શકાય અને તેનું નિરાકરણ લાવી શકાય. એ પછી બીજા દિવસથી પાસપોર્ટ સેન્ટર કાર્યરત થઈ જશે. જો કે વિજય ચાર રસ્તા પરનું પાસપોર્ટ સેન્ટર ચાલુ જ રહેશે.
બાપુનગરમાં નવું સેન્ટર શરૂ થતા પૂર્વમાંથી આવતા લોકો અને ખેડા, આણંદ, નડિયાદના લોકોને સુવિધા રહેશે. મીઠાખળી જુના પાસપોર્ટ સેન્ટરમાં રોજના 800 અરજદારના પાસપોર્ટ ડોકયુમેન્ટ સબમિટ થાય છે. પણ અહીં જગ્યા વધારે ન હોવાને કારણે લોકોને બેસવાની જગ્યા મળતી નથી, સાથે જ પાર્કિંગની જગ્યા પણ ન હોવાને કારણે પણ લોકોને સમસ્યા થાય છે. ત્યારે બાપુનગરમાં વ્હાઇટ હાઉસ ખાતે નવા પાસપોર્ટ કેન્દ્રમાં આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
નવા પાસપોર્ટ સેન્ટરમાં 3 વિંગ મળીને કુલ મળીને 36 કાઉન્ટર હશે. જેમાં A વિંગમાં 20 કાઉન્ટર, જે તમામ શરૂ કરી દેવામાં આવશે, જ્યાં TCSનો સ્ટાફ ડોક્યુમેન્ટ – ફિંગર પ્રિન્ટ લેશે. જયારે B વિંગમાં 10 કાઉન્ટરમાંથી 6 શરૂ કરવામાં આવશે, અહીં પાસપોર્ટનો સ્ટાફ ડોક્યુમેન્ટ વેરિફાઇ કરવાનું કામ કરશે, જયારે C વિંગમાં 6 કાઉન્ટરમાંથી 3 થી4 શરૂ કરી દેવામાં આવશે, જ્યાં કચેરીનો સ્ટાફ અંતિમ ફાઇલ ગ્રાન્ટ કરશે. હાલમાં સ્ટાફની અછતને કારણે બી અને સી વીંગમાં કેટલાક કાઉન્ટર ખાલી રહી શકે છે.