
‘ઓપરેશન સિંદૂર’ પછી ભારત હવે અવકાશમાં તેની લશ્કરી શક્તિને વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. સરકારે નિર્ણય લીધો છે કે 2029 સુધીમાં (આગામી 4 વર્ષમાં) 52 ખાસ સંરક્ષણ ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવશે. આ બધા ઉપગ્રહો અવકાશમાં ભારતની નજર બનશે અને પાકિસ્તાન-ચીન સરહદ પર સતત નજર રાખશે. આ ઉપગ્રહો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આધારિત હશે. તેઓ 36 હજાર કિમીની ઊંચાઈએ એકબીજા સાથે વાતચીત કરી શકશે. આનાથી પૃથ્વી પર સિગ્નલ, સંદેશા અને ચિત્રો મોકલવાનું સરળ બનશે. આ સમગ્ર મિશન ડિફેન્સ સ્પેસ એજન્સી હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે અને આ માટે સરકારે ‘અવકાશ-આધારિત સર્વેલન્સ ફેઝ-3’ (SBS-3) યોજના ઘડી છે. આ માટે ₹26,968 કરોડનું બજેટ છે. ઓક્ટોબર 2024માં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ દ્વારા એને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ ઇસરો 21 ઉપગ્રહનું નિર્માણ અને પ્રક્ષેપણ કરશે, જ્યારે 31 ઉપગ્રહ ત્રણ ખાનગી ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવશે. પહેલો ઉપગ્રહ એપ્રિલ 2026 સુધીમાં પ્રક્ષેપણ કરવામાં આવશે, પરંતુ સમયમર્યાદા વધુ ઘટાડવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટ અને જિયોસ્ટેશનરી ઓર્બિટમાં તહેનાત કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, “SBS-3નો હેતુ પાકિસ્તાન, ચીન અને હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ વિગતવાર આવરી લેવાનો છે, જેનાથી ઓછા સમયમાં ઉચ્ચ-રિઝોલ્યુશન સર્વેલન્સ શક્ય બનશે.” ISROના ઉપગ્રહો ઉપરાંત વાયુસેના ત્રણ હાઇ-એલ્ટિટ્યૂડ પ્લેટફોર્મ સિસ્ટમ (HAPS) વિમાનો ખરીદવાની પણ યોજના બનાવી રહી છે. આ ડ્રોન જેવા માનવરહિત વિમાનો હશે, જે લાંબા સમય સુધી ઊંચાઈ પર ઉડાન ભરીને દેખરેખ રાખવામાં મદદ કરશે. આ ઉપગ્રહોની દેખરેખ ક્ષમતાઓને મજબૂત બનાવશે.
7થી 10 મે 2025 દરમિયાન ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે જૈશ-એ-મોહમ્મદ સામે ભારે લશ્કરી કાર્યવાહી કરી. ઇકોનોમિક ટાઇમ્સ (ET)ના અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન સ્વદેશી ઉપગ્રહો અને કેટલાક વિદેશી વ્યાપારી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ રિયલ-ટાઇમ ટ્રેકિંગમાં ઘણી ખામીઓ બહાર આવી હતી.
“આપણે આપણા નિર્ણયો ઝડપી બનાવવા પડશે. જેટલા વહેલા આપણે 52 ઉપગ્રહ અવકાશમાં મૂકીશું એટલી જ આપણી સુરક્ષા વધુ મજબૂત બનશે,” એક અધિકારીએ ETને જણાવ્યું. ભારતનું આ પગલું ચીનના વધતા અવકાશ લશ્કરીકરણના પ્રતિભાવમાં પણ છે. 2010માં ચીન પાસે ફક્ત 36 લશ્કરી ઉપગ્રહ હતા, આજે તેની પાસે 1000થી વધુ ઉપગ્રહો છે, જેમાંથી 360થી વધુ સર્વેલન્સ (ISR) હેતુઓ માટે છે. ચીન પાસે ઉપગ્રહવિરોધી મિસાઇલો, કો-ઓર્બિટલ ઉપગ્રહો, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ અને લેસર જેવાં શસ્ત્રો પણ છે. ભારતનું અવકાશ આધારિત સર્વેલન્સ (SBS) મિશન 2001માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. SBS 1 કાર્યક્રમ હેઠળ, 2001માં ચાર ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. RISAT તેમાં મુખ્ય હતું. આ પછી, 2013માં SBS 2 મિશનમાં 6 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા.