આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે બાબા અમરનાથની પહેલી આરતી કરવામાં આવી હતી. પહેલું ગ્રુપ બાલતાલ અને નુનવાન (પહેલગામ) બેઝ કેમ્પથી અમરનાથ ગુફા જવા માટે રવાના થયું. આ દરમિયાન ભક્તો ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નારા લગાવી રહ્યા હતા. બુધવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા જમ્મુના ભગવતીનગર કેમ્પથી 5,892 યાત્રાળુના પ્રથમ ગ્રુપને લીલી ઝંડી આપી હતી. આ લોકો બપોરે કાશ્મીર પહોંચ્યા, જ્યાં વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ તેમનું સ્વાગત કર્યું.
38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા ૫૨ દિવસ ચાલી હતી અને 5 લાખ શ્રદ્ધાળુએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યાં હતાં. આ વર્ષે અત્યારસુધીમાં 3.5 લાખથી વધુ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તાત્કાલિક રજિસ્ટ્રેશન માટે જમ્મુમાં સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં સેન્ટર્સ ખોલવામાં આવ્યાં છે. આ સેન્ટર દરરોજ બે હજાર યાત્રાળુનું રજિસ્ટ્રેશન કરી રહ્યાં છે.
અમરનાથ શિવલિંગ બરફથી બનેલું એક અદ્ભુત કુદરતી માળખું છે, જેને હિમાની શિવલિંગ કહેવામાં આવે છે. અમરનાથ ગુફા સમુદ્ર સપાટીથી લગભગ 3,888 મીટરની ઊંચાઈ પર આવેલી છે. આ ગુફા ઉત્તર તરફ છે, જેના કારણે સૂર્યપ્રકાશ ખૂબ જ ઓછો પહોંચે છે. આ કારણે ગુફાની અંદરનું તાપમાન 0 ° સે નીચું રહે છે, જેના કારણે સરળતાથી બરફ થીજેલો રહે છે. ગુફાની છત પરથી પાણી સતત ટપકતું રહે છે, જે નજીકના ગ્લેશિયરો અથવા બરફ પીગળવાથી આવે છે. જ્યારે પાણી ધીમે ધીમે નીચે પડે છે અને થીજી જાય છે, ત્યારે એ સ્તંભના આકારમાં ઉપર તરફ વધે છે. આને વૈજ્ઞાનિક રીતે સ્ટેલાગ્માઇટ કહેવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું: મુસાફરી માટે બે રસ્તા છે:
1. પહેલગામ રૂટ: આ રૂટ દ્વારા ગુફા સુધી પહોંચવામાં 3 દિવસ લાગે છે, પરંતુ આ રૂટ સરળ છે. યાત્રામાં કોઈ ઊભું ચઢાણ નથી. પહેલગામથી પહેલું સ્ટોપ ચંદનવાડી છે. એ બેઝ કેમ્પથી 16 કિમી દૂર છે. ચઢાણ અહીંથી શરૂ થાય છે. ત્રણ કિમી ચઢાણ કર્યા પછી યાત્રા પિસુ ટોપ પર પહોંચે છે. અહીંથી યાત્રા ચાલીને સાંજ સુધીમાં શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ 9 કિમી છે. બીજા દિવસે, યાત્રાઓ શેષનાગથી પંચતરણી જાય છે. આ શેષનાગથી લગભગ 14 કિમી દૂર છે. ગુફા પંચતરણીથી ફક્ત 6 કિમી દૂર છે.
2. બાલતાલ રૂટ: જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે બાલતાલ રૂટ દ્વારા બાબા અમરનાથનાં દર્શન માટે જઈ શકો છો. એમાં ફક્ત 14 કિમી ચઢાણનો સમાવેશ થાય છે, પરંતુ એ ખૂબ જ ઢાળવાળું ચઢાણ છે, તેથી વૃદ્ધ લોકોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગમાં સાંકડા રસ્તા અને ખતરનાક વળાંકો છે.
યાત્રા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…
યાત્રા દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ અરજી ફોર્મ તમારી સાથે રાખો. શારીરિક તંદુરસ્તી માટે, દરરોજ 4થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ કરો. પ્રાણાયામ અને યોગ કરો. મુસાફરી દરમિયાન ઊનના કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટિક, પાણીની બોટલ અને જરૂરી દવાઓ તમારી સાથે રાખો.