
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે 2 વાગ્યે જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઔસનેશ્વર મંદિર જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર છે. ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હૈદરગઢ અને ત્રિવેદીગંજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડીએમ શશાંક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે- કેટલાક વાનરો ઇલેક્ટ્રિક વાયર પર કૂદી પડ્યા હતા, જેના કારણે વાયર તૂટી ગયો હતો અને મંદિર પરિસરના ટીન શેડ પર પડ્યો હતો. જેના કારણે કરંટ ફેલાયો હતો અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.