રાજકોટ ઇન્ટરનેશનલ ​​​​​​​એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી

Spread the love

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે (29 જુલાઈ) મંજૂરી આપવામાં આવી છે. હીરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહિ પડે. આગામી બે દિવસમાં ભાવ નક્કી કરાયા બાદ આ સેવા શરૂ થઈ શકે છે. હાલમાં આ મામલે કોઈ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. જુલાઈ, 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટના લોકાર્પણ બાદ કાર્ગો સર્વિસ હવે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા આની મંજૂરી આપવામાં આવી છે.
આ મામલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કાર્ગો સર્વિસ શરૂ થઈ એ ખૂબ જ આનંદની વાત છે. એનાથી સૌરાષ્ટ્રના 10,000 જેટલા ઉદ્યોગપતિઓ-વેપારીઓને હવાઈ માર્ગે સેમ્પલ તરીકેનો માલ-સામાન મોકલવામાં સરળતા રહેશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત મોકલી શકે છે. એમાં ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ ઉપરાંત પ્લાસ્ટિક પાર્ટ જે સેમ્પલ તરીકે વેપારીઓ વિદેશમાં મોકલતા હોય છે એમાં પણ ફાયદો થશે, સાથે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના પાર્ટ મોકલવામાં પણ સરળતા રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના MSME ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને આ સેવાથી ફાયદો થશે, જોકે કાર્ગો સર્વિસનું ભાડું કેટલું રાખવામાં આવે છે એના પર તમામ પ્રકારની નિર્ભરતા છે, કારણ કે જો વેપારીઓને અમદાવાદથી કાર્ગો મારફત માલ-સામાન મોકલવામાં ફાયદો થતો હોય, એટલે કે ઓછાં નાણાં ચૂકવવા પડતાં હોય તો વેપારીઓ રાજકોટને બદલે અમદાવાદથી માલ-સામાન મોકલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *