Gandhinagar News : ગુજરાતના દરેક જિલ્લામાં ઊંઘતું તંત્ર વીરમગામમાં જાગ્યું છે. વિરમગામના ધારાસભ્યના એક પત્રથી સરકાર અને વહીવટી તંત્ર નતમસ્તક થઈ ગયું. હાર્દિક પટેલના પત્ર બાદ તંત્ર એકાએક એક્શનમાં આવ્યું છે. રાતોરાત વિરમગામમાં અધિકારીઓએ ધામા નાંખ્યા. બેઠકોનો દોર ચાલ્યો અને અધિકારીઓની બદલી કરી દેવાઈ.
શુક્રવારે હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને લખેલો પત્ર વાયરલ થયા બાદ શનિવારે વિરમગામમાં અધિકારીઓના ધામા જોવા મળ્યા હતા. શનિવારે હાર્દિક પટેલ સહિત સ્થાનિક તંત્ર સાથે અધિકારીઓનો બેઠકોનો દર ચાલ્યો. બેઠકોના દોર બાદ બદલીનો દોર પણ જોવા મળ્યો. વિરમગામ નગર પાલિકા એકાઉન્ટ અને સેનેટરી ઇન્સ્પેક્ટરના તત્કાલ ઓર્ડર કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ મહાનગરપાલિકાના રમેશ સાનિયાને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલોલ નગરપાલિકાના ગોહેલ મયુરકુમાર સુરેશભાઈને વિરમગામ નગરપાલિકામાં મૂકવામાં આવ્યા છે. તત્કાલ અસરથી આ બંને કર્મચારીને હાલના ફરજના સ્થળ પરથી મુક્ત કરીને નવા ફાળવેલ સ્થળ પર હાજર થવા જણાવાયું છે.
તો બીજી તરફ, વિરમગામની દુર્દશાની લઈ ભાજપ નાનેતા વરૂણ પટેલે ટ્વીટ થકી હાર્દિક પટેલ પર પ્રહાર કર્યા. વરુણ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, વિરમગામમાં 45 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યોને વિકાસના કામોથી કેમ અળગા રખાય છે. કોણ સુચના આપે છે કે ચુંટાયેલા લોકોને અળગા રાખવામાં આવે છે. ચીફ ઓફિસરની બદલી રોકાવનાર કોણ છે. ઐતિહાસિક દુર્દશાનો જવાબદાર કોણ. કોને પૈસા વાપર્યા તમામની તપાસ થવી જોઈએ.
હાર્દિક પટેલના એક એક્શન બાદ તંત્રનું રિએક્શન જોવા મળ્યું. સ્થાનિક તંત્ર સાથે અધિકારીઓએ બેઠકો કરી અને રાતોરાત બદલીના ઓર્ડર પણ કરી દીધા. વીરમગામ પાલિકના એકાઉન્ટ, સેનેટરી ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવાઈ. પરંતું સવાલ એ છે કે, રાજ્યના 182 ધારાસભ્યોમાંથી માત્ર હાર્દિક પટેલનું જ મહત્વ છે? વીરમગામ જેવા એક્શન અન્ય વિસ્તારમાં ક્યારે લેશે તંત્ર?