
ગુજરાતના સરકારી કર્મચારીઓ પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડવા તૈયાર છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિની આગેવાની હેઠળ 21 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં જૂની પેન્શન યોજના (ઘડજ), ફિક્સ પગાર નીતિ નાબૂદ કરવા અને આઠમા પગાર પંચની રચના જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થશે.
ગુજરાત સરકારે 1 એપ્રિલ, 2005 પહેલાં નોકરીએ લાગેલા 60,245 કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે આ નિર્ણયનો લાભ મર્યાદિત છે. તેઓ 2005 પછી નોકરીએ લાગેલા કર્મચારીઓ માટે પણ જૂની પેન્શન યોજનાની માગ કરી રહ્યા છે, કારણ કે નવી પેન્શન સ્કીમ (ગડજ) હેઠળ નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા અપૂરતી માનવામાં આવે છે. ફિક્સ પગારની નીતિ હેઠળ નોકરીએ લાગેલા કર્મચારીઓને નિયમિત પગારધોરણ અને લાભો મળતા નથી, જેના કારણે તેઓ આર્થિક અસુરક્ષા અનુભવે છે. કર્મચારીઓ આ નીતિ નાબૂદ કરીને નિયમિત નિમણૂકની માગ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે, જે 2026 સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરશે. આ પંચની ભલામણો કેન્દ્રીય કર્મચારીઓ અને સશસ્ત્ર દળોને લાગુ પડશે. પરંતુ ગુજરાતના કર્મચારીઓ રાજ્ય સરકાર દ્વારા આ પંચની ભલામણોને અમલમાં મૂકવા અને રાજ્યના કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની માગ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ 21 ઓગસ્ટ, 2025ના રોજ ગાંધીનગરમાં એક મહાબેઠક યોજશે, જેમાં રાજ્યભરના સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં સરકાર સામે મુદ્દાઓ ઉઠાવવા અને આગામી આંદોલનની રણનીતિ ઘડવા પર ચર્ચા થશે. સમિતિના એક પ્રતિનિધિએ જણાવ્યું, અમે લાંબા સમયથી અમારા હક્કો માટે લડી રહ્યા છીએ. સરકારે અમારી માગણીઓ પર ગંભીરતાથી વિચારવું જોઈએ, નહીં તો અમે રસ્તા પર ઉતરવા મજબુર થઈશું
ગુજરાત સરકારે 2024માં જૂની પેન્શન યોજનાને આંશિક રીતે લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં 2005 પહેલાં ફિક્સ પગારમાં નોકરીએ લાગેલા કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે આ નિર્ણય અધૂરો છે અને તેમની તમામ માગણીઓનો સમાવેશ થતો નથી. ફિક્સ પગાર નીતિ અને આઠમા પગાર પંચની ભલામણોના અમલ પર સરકારે હજુ સ્પષ્ટ નીતિ જાહેર કરી નથી, જેના કારણે કર્મચારીઓમાં નારાજગી વધી રહી છે. ગુજરાતના સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને ફ્રિક્સ પગાર નીતિના મુદ્દે અગાઉ પણ અનેક વખત આંદોલનો કર્યા છે. 2024માં રાજ્ય સરકારે આંશિક રાહત આપી હતી, પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે સરકારે તેમની તમામ માગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. આ બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન, ધરણા કે અન્ય કાર્યક્રમોની સૂપરેખા તૈયાર થઈ શકે છે.
કર્મચારીઓની આ માગણીઓનો સીધો સંબંધ રાજ્યની આર્થિક નીતિઓ અને કર્મચારીઓના નાણાકીય સુરક્ષા સાથે છે. જૂની પેન્શન યોજના લાગુ થવાથી નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સ્થિરતા મળી શકે છે. જ્યારે ફિક્સ પગાર નીતિ નાબૂદ થવાથી હજારો યુવા કર્મચારીઓને નિયમિત નોકરીના લાભો મળશે. આઠમા પગાર પંચની ભલામણો રાજ્યમાં અમલમાં આવે તો કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે, જેની સીધી અસર રાજ્યના વપરાશ અને આર્થિક ગતિશીલતા પર પડશે.