અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3નાં મોત

Spread the love

 

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં મણિનગરની એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી હાલ સારવાર લઈ રહ્યો છે. બાકીના 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને જતાં રહ્યાં છે. એલજી હોસ્પિટલમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અન્ય ચાર દર્દી પણ ખાનગી વાહનમાં હોસ્પિટલ આવ્યા હતા. જોકે તેઓ વડોદરાના રહેવાસી હોવાથી ત્યાં સારવાર કરાવવી હોવાથી પ્રાથમિક સારવાર લઈ વડોદરા જવા રવાના થઈ ગયા હતા. મણીનગરની એલજી હોસ્પિટલમાં કુલ 8 લોકો સારવાર લેવા માટે આવ્યા હતા. અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ત્રણેય મહિલા દર્દી છે. ત્રણમાંથી 2 મહિલાને ફેક્ચર છે જ્યારે એક મહિલાને માથામાં ઇજા છે. ત્રણેય મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે હાઈવે પર પટેલ ટ્રાવેલ્સની બસ અને કિયા કારના ચાલક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માત થતા બસ ચાલક અને કિયા કારના ચાલક રસ્તા પર ઊભા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા છે. કેટલાક ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દસ્ક્રોઇ તાલુકાના રાસકા નજીક આ ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતનો મેસેજ મળતાની સાથે જ કણભા અને વિવેકાનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 8 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે અકસ્માતના કારણે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. જેથી એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી શકી નહોતી. 3 દર્દીને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર લેવી જરૂરી હોવાથી ખાનગી વાહનોને રોકીને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે ખસેડાયા હતા.
અકસ્માત મુદ્દે અમદાવાદ ગ્રામ્ય પોલીસના DYSP નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે એક્સપ્રેસ હાઈવે પર હરણિયાવ ગામ પાસે આજે સવારે અકસ્માત થયો છે. કણભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પટેલ ટ્રાવેલ્સ અને કિયા ફોર વ્હીલર ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ​​​​​​​બંને વાહનો રોડ પર ઉભા હતા. કારચાલક અને બસ ચાલક વચ્ચે અકસ્માત મુદ્દે રકઝક ચાલતી હતી તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસીંગની ટ્રકે બસને ટક્કર મારી હતી. ​​​​​​​આ ટ્રક હજીરાથી જમ્મુ કાશ્મીર જતી હતી. બસના પેસેન્જરમાંથી ત્રણ વ્યક્તિના મોત થયા છે તથા બસમાં બેઠેલા સાતથી આઠ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસ મુંબઈથી પાલનપુર જવાની હતી. સમગ્ર મામલે કણભા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગઇકાલે(26 ઓક્ટોબર) અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર વેજળકા નજીક એક કાર સિમેન્ટ બેરિકેડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *