હિંમતનગરમાં 36 રોકાણકારો પોન્ઝી સ્કીમનો ભોગ બન્યા, મહિલા સહિત બે આરોપીઓ પકડાયા

Spread the love

 

સાબરકાંઠાના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અલગ-અલગ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું કહીને હિંમતનગરમાં 36 જેટલાં લોકોને છેતરવામાં આવ્યા હોવાની હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે શહેરમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ ચલાવતા સંચાલક સહિતના લોકો સામે ગુનો નોંધીને એક મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે રોકાણકારોના નિવેદનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોન્ઝી સ્કીમ ચલાવનાર બે આરોપીની ધરપકડ

રાજ્યમાં પોન્ઝી સ્કીમોનો જાણે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમોની ઘટના સામે આવી રહી છે. તેવામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલીના સંચાલક સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

36 રોકાણકારો પાસેથી રૂ.1.44 કરોડની છેતરપિંડી

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓ દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરીને 36 જેટલાં રોકાણકારો પાસેથી 1.44 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાનું ભોગ બનનારા લોકોને ખ્યાલ આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે પોલીસે રોકાણકારોના નિવેદન નોંધ્યા છે અને પોન્ઝી સ્કીમ થકી છેતરપિંડી કરનારા 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેવામાં હજુ પણ અનેક રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવે તેવી શક્યતા છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *