ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ IT રેડ : રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ

Spread the love

ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે IT ટીમ ત્રાટકી

 

 

ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો’ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.

ગાંધીનગરમાં આજે(12 નવેમ્બર) વહેલી સવારથી ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ઘર-ઓફિસે પોલીસ બંદોબસ્ત સાથે IT ટીમ ત્રાટકી હતી. ITની એક ટીમ સેકટર 26 કિસાનનગર સ્થિત તેમના ઘરે હથિયારધારી પોલીસ જવાન સાથે ઘરમાં સર્ચ કરી રહી છે. જ્યારે અન્ય ટીમો સેક્ટર 11માં મેઘ મલ્હાર ઓફિસ અને ડ્રાઇવરના ગ્રીનિસિટી ઘરે ત્રાટકી છે. હાલમાં સંજય ગજેરાના ઘરે ITની ટીમ દસ્તાવેજો, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવા ચકાસી રહી છે. અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું છે તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે.

આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે. આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. ચેકથી દાનનાં નામે મોટી રકમ મેળવ્યા બાદ કમિશન કાપીને રોકડ પરત કરીને ટેકસ ચોરીની આ મોડસ ઓપરેન્ડી છે.

ગુજરાતનાં અમદાવાદ, ગાંધીનગર, ઉપરાંત સૌરાષ્ટ્રનાં પણ જૂનાગઢ જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્યા છે. જોકે વિભાગ તરફથી કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. આ કાર્યવાહીના પગલે રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ સર્જાયો છે. ચૂંટણી પંચે તાજેતરમાં આવા પક્ષોની ઝાટકણી કાઢી હતી અને અમાન્ય જાહેર કર્યા હતા. નાની દુકાન કે ઓફિસમાં ચલાવતા આવા પક્ષો દ્વારા રાજકીય દાનના નામે કરચોરીનાં મોટા ખેલ થતા હોવાનું ધ્યાને આવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *