આતંકીઓએ હરિદ્વારનાં મંદિરોમાં રેકી કર્યાનો ઘટસ્ફોટ

Spread the love

 

 

 

ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા. આતંકી આઝાદની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી કે આતંકી સુલેહે એક પાર્સલ આઝાદને મોકલાવ્યું હતું. આ પાર્સલ લઈને એટીએસે તપાસ શરૂ કરી છે. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવો હતો. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી. આ સાથે જ આતંકી ડો. અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી હોટલ ગ્રાન્ડ એમ્બેસમાંથી નીકળતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આતંકી ડો.અહેમદ મોહ્યુદ્દીન સૈયદ જીલાની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ હોટલમાં રોકાયો હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા આતંકીઓ ભારતમાં અનેક મોટી ઘટનાઓને અંજામ આપવાના હતા. એના માટે અલગ-અલગ શહેરોમાં રેકી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આતંકી આઝાદ શેખે હરિદ્વારમાં મંદિરોમાં રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આતંકી આઝાદ ઘણા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માગતો હતો. આતંકી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડ્યો હતો. તમામ બાબતો પર ગુજરાત એટીએસની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. આતંકીઓ છેલ્લા કેટલા સમયથી ISIS સાથે સંકળાયેલા છે એને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસની ટીમ દ્વારા આઝાદ શેખના ઘરે તપાસ કરવામાં આવી હતી, ત્યારે તેમને ડિજિટલ સ્વરૂપે અનેક પુરાવાઓ મળ્યા છે. એ પુરાવાઓ એટીએસ ઓફિસ ખાતે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. અલગ-અલગ શહેરોમાં અગાઉ રેકી કરી હોવાના પગલે તેમની પૂછપરછ કરતાં આતંકી દ્વારા હરિદ્વારમાં અલગ-અલગ મંદિરોમાં ફરીને પણ કરી હતી. ભારતનાં ધાર્મિક સ્થાનોમાં હરિદ્વાર ખૂબ મોટું સ્થાન ધરાવે છે, તેથી આ મંદિરોમાં પણ રેકી કરવામાં આવી હતી. સમગ્ર બાબતે હાલ પૂછપરછ એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. ઇસ્લામમાં નેતા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞાને બૈઅત કહેવાય છે. ડો. અહેમદની આ બૈઅતના વીડિયોનો સ્ક્રિન શોટ પણ સામે આવ્યો છે. જેમાં તે આંગળી દ્વારા બૈઅત કરતો જોવા મળે છે. 10 દિવસના રિમાન્ડ પૂરા થતાં અહેમદ મોહ્યુદ્દીનને સોમવારે(17 નવેમ્બર, 2025) સાંજે જ નવી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ સિકયોરિટી બેરેકમાં મોકલી દેવાયો હતો, જ્યાં મંગળવારે સવારે 7 વાગ્યે તે સૂઈ રહ્યો હતો ત્યારે જ અન્ય 3 આરોપીએ તેને ફેંટોનો માર માર્યો હતો, જેમાં તેને આંખના ભાગે ગંભીર ઈજા થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં અન્ય ત્રણ કેદીએ આક્રોશમાં આવીને અહેમદ મોહ્યુદ્દીનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *