ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
ગુજરાતમાં માનવ અધિકારોનું મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ
અમદાવાદ
ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારમાં કસ્ટોડીયલ ડેથ અંગે ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ- (સિવિલ સોસાયટી) એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ની ચાડી ખાય છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે એક કસ્ટોડીયલ ડેથની ઘટના પણ તપાસ માંગી લે છે. છેલ્લાં છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૯૫ આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં ટોચના ક્રમાંકે છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગેની સબ સલામતની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૫ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો હતો. સમગ્ર દેશમાં ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીના છ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં લગભગ ૭૦૦ થી વધુ લોકોના મોત થયા છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ પરિસ્થિતિ પોલીસ કસ્ટડીમાં રહેલા લોકોની સલામતિ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે.
પ્રશ્ન એ છે કે જો પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ તેમની ફરજો યોગ્ય રીતે નિભાવી રહી છે તો દરરોજ કસ્ટોડીયલ મૃત્યુના કિસ્સાઓ કેમ બહાર આવી રહ્યાં છે ? તપાસ પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ કેમ છે ? સ્પષ્ટ પણે, આ મામલે બેદરકારી અને મનસ્વીતા આચરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦ માં અલગ-અલગ આદેશોમાં સુપ્રિમકોર્ટ માનવ અધિકારોના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને તપાસ એજન્સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા અને રેકોડીંગ સાધનો સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ એનો પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો નથી ઘણા પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી અથવા બંધ કરવામાં આવ્યાં છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના બંધારણે દરેક નાગરિકને જીવન અને ન્યાયનો અધિકાર આપ્યો છે. પરંતુ આજે કસ્ટોડિયલ ડેથ આપણા તંત્ર પર સૌથી ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. મોટાભાગના ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના આરોપીઓને સૌથી વધુ ત્રાસ, અમાનવિયતા અને યાતના સહન કરવી પડે છે.પોલીસ યુનિફોર્મની આડમાં થતું આ અત્યાચાર માત્ર કાયદાનો ભંગ નથી .આ માનવ અધિકારોનું ક્રુર મર્દન છે. સરકાર કેટલીય વાત કરે પરંતુ હકીકત એ છે કે કસ્ટોડિયલ ટોર્ચર એક સંસ્થાગત બીમારી બની ગયું છે. જવાબદારી નક્કી કરવાની જગ્યાએ સરકાર દોષિતોને બચાવે છે. માર્યા ગયેલા લોકોનો એક કોમન ફેક્ટર “ગરીબી અને સામાજિક પછાતપણું.” આવા બનાવો દેશના કાયદા-વ્યવસ્થાની નહીં, સરકારની નૈતિક દિવાળિયાપણાની સાક્ષી છે. નાગરિકને સુરક્ષા આપવાનું કાર્ય કરતી પોલીસ જો જીવ લેવાનું સાધન બની જાય તો એ સરકારની નિષ્ફળતા છે, સિસ્ટમની નહીં. કાયદો યુનિફોર્મ પહેરનારનો નથી, દેશના દરેક નાગરિકનો છે અને જ્યાં ન્યાય મરે, ત્યાં લોકશાહી શરમાશે. કોંગ્રેસ પક્ષની માંગ સ્પષ્ટ છે કે,
1. દરેક કસ્ટોડિયલ ડેથની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવામાં આવે.
2. ગરીબ, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના શંકાસ્પદ મોત પર ફાસ્ટ-ટ્રેક કોર્ટ.
3. પોલીસ રિફોર્મ્સ, 20 વર્ષથી સરકાર શા માટે અટકાવી રહી છે?
4. જવાબદાર અધિકારીઓ પર કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.

