
જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન પોલીસે 15થી 20 મિનિટ બાદ માંડ છોડાવીને જીપમાં બેસાડી જી.જી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે.
ઇટાલિયા પર જૂતુ ફેકનાર મેમાણા ગામના છત્રપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન જુતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે. 2 માર્ચ, 2017ના દિવસે ગુજરાત વિધાનસભાની બહાર તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાના સવાલોનો જવાબ આપી રહ્યા હતા અને કેમેરા ચાલુ હતા એ દરિમાયન ગોપાલ ઇટાલિયાએ અચાનક પ્રદીપસિંહ પર જૂતાનો ઘા કર્યો હતો અને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાયના નારા લગાવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના જૂતુ ફેકવાના 8 વર્ષ બાદ આજે જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહે જૂતાનો ઘા કર્યો છે.
ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટનાને લઈ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં AAPની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે શા માટે? જામનગરમાં અમારા લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ હવે ગુજરાતમાં AAP સામે એક થઈને લડી રહ્યા છે. પરંતુ બંને પક્ષોએ સાંભળવું જોઈએ. AAP નેતાઓ ન તો ડરે છે કે ન તો નમશે. ગુજરાતના લોકો હવે AAP તરફ વળીને પરિવર્તન માટે પોતાનું મન બનાવી ચૂક્યા છે, અને આ જ બંને પક્ષોની ગભરાટનું કારણ છે.
જામનગરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઇને શહેરના મુખ્ય માર્ગો જેવા કે કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ અને બેડી ગેટ થઈને ટાઉન હોલ સુધી પહોંચી હતી. જે બાદ ટાઉન હોલમાં ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા થતા મામલો બિચક્યો હતો.