
તાજેતરમાં લેવામાં આવેલી TET-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકાય છે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે, પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય. એક ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે.
શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. વ્યાયામ શિક્ષકોની ભરતીમાં પડકાર અંગે અધિકારીએ કહ્યું કે, CPEd કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઉભી થઈ છે. પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકિલ્પક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે. TET-1 પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આશાની નજરે જોવામાં આવી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો આ સ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ સાબિત થશે.