
અમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસની આગળના ભાગે એન્જિનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. જેના પગલે તાત્કાલિક બસમાં સવાર મુસાફરો પાછળના દરવાજેથી બહાર નીકળી ગયા હતા. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરબ્રિગેડ પાસેથી પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ AMTS રૂટ નંબર 501ની બસ અડાલજ ત્રિમંદિરથી સરખેજ ઉજાલા તરફ જતી હતી. દરમિયાનમાં સોલા ભાગવત ચાર રસ્તા ઉપર બસની ડ્રાઈવર કેબિનમાં એન્જિન બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. જેથી ડ્રાઈવરે તાત્કાલિક બસ સાઇડમાં ઊભી કરી દીધી હતી. આગ લાગતા જ ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસમાં સવાર મુસાફરોને તાત્કાલિક પાછળના દરવાજેથી નીચે ઉતરી જવા કહ્યું હતું, જેથી તરત જ મુસાફરો પાછળના દરવાજેથી નીચે ઉતરી ગયા હતા. ડ્રાઇવરે બસની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી અને પોતે પણ નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન આગળના ભાગે એન્જિનમાં આગ શરૂ થઈ ગઈ હતી. બસના કંડક્ટરે તરત ઈમરજન્સી 112માં ફોન કરી પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. બસની ડ્રાઈવર કેબિન તેમજ બસનો આગળનો ભાગ અંદરથી 6 સીટો અને ફ્લોર, સિલીંગ સળગી ગઈ હતી. પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઇ હતી. AMTS ફ્લાઈંગ વિભાગની ટીમ તેમજ વાડજ ટર્મિનસથી સુપર વાઇઝર સ્થળ પહોંચી ગયા હતા. આ સમગ્ર મામલે બસ ઓપરેટર વિરુદ્ધ નોટિસ આપી અને દંડની કાર્યવાહી કરવામાં આવશે.