તાઉતે વાવાઝોડાથી બાગાયતીપાકો – ઉર્જા – વીજળી ક્ષેત્રને થયેલી નુક્સાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે : વિજયભાઇ રૂપાણી

Spread the love

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે.
એટલું જ નહિ, આ તિવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગત તા. ૧૭મી મે થી તા.૧૮મી મે એમ સતત ર૪-ર૬ કલાક રર૦ કિ.મી. પ્રતિકલાકથી માંડી ૬૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તિવ્ર વાવાઝોડું પસાર થયું હતું.
‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’ એમ જણાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ ટિમ ગુજરાતને આવી ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠા માટે અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ વાવાઝોડાના બીજા જ દિવસે તા.૧૯મી મે એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને રૂ. ૧૦૦૦ કરોડની તત્કાલ સહાય જાહેર કરી તે માટે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યકત કર્યો હતો.
તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં તા.ર૦મી મે થી રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ ત્વરાએ શરૂ કર્યા છે.
હવે, રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર ૩ જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકશાનને પરિણામે રાજ્યમાં ૧૦૪૪૭ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર ૪૫૦ ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, આ વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના રર૦ કે.વી.ના સબસ્ટેશનને થયેલ નુકશાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે. માત્ર અમરેલી જિલ્લામાં ૬૦૦થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ તા.ર૮મી મે સુધીમાં શરૂ કરી દેવાશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ વાવાઝોડાના અસરગ્રસ્ત લોકો-પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય રાજ્ય સરકારે ચુકવવાની શરૂ કરી છે તેની પણ વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, સવા બે લાખ લોકોને ૧૦ કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે.
એટલું જ નહિ, ૧પ હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ ૭ હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ મકાનોને સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે ૩૩ ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે ૯પ,૧૦૦, રપ હજાર અને ૧૦ હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે.
મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાને કારણે ખેતીવાડી ખાસ કરીને બાગાયતી પાકો નાળિયેરી, આંબા, લીંબુ ના ઝાડ ધ્વસ્ત થયા છે તેનો વ્યાપક સર્વે હાથ ધરાઇ રહ્યો છે તેની પણ વિગતો આપી હતી.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે એક નવતર અભિગમ અપનાવી પ્રથમવાર સવાસોથી વધુ કૃષિ વૈજ્ઞાનિકોને આવા બાગાયતી પાકોના ઝાડ-વૃક્ષો ધરાશાયી થયા છે તેને તે જ સ્થળે પૂન: સ્થાપના, ફરી વાવેતર માટેની સંભાવના ચકાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે.
આ કૃષિ વૈજ્ઞાનિકોના સર્વે બાદ તેમની સાથે જોઇન્ટ મિટીંગ કરીને તેના આધારે ખેતીવાડી વિભાગ એકશન પ્લાન તૈયાર કરશે એમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારોમાં જ્યાં મોટા પાયે આવા બાગાયતી પાકો સહિતના ઝાડ ધરાશાયી થઇ ગયા છે ત્યાં ‘ઝાડ પડી ગયું છે ત્યાં જ ફરી ઝાડ – વૃક્ષ ઉગાડવા’ના અભિગમ સાથે જાપાનીઝ થીયરી કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થીયરી અપનાવી આ વર્ષના વન મહોત્સવમાં મોટાપાયે વૃક્ષારોપણ કરાશે અને તે અંગેનો એકશન પ્લાન પણ સંબંધિત વિભાગો બનાવશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રચાર માધ્યમો સાથેની આ વાતચીતમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં પણ રાજ્ય સરકારની વ્યાપક અસરકારક કામગીરીની વિગતો રજૂ કરી હતી.
તેમણે કહ્યું કે, ઘનિષ્ઠ આરોગ્યલક્ષી સારવાર પગલાંઓને પરિણામે એપ્રિલના અંતમાં જે કેસોની સંખ્યા ૧૪ હજાર જેટલી હતી તે ઘટીને હવે ૩ર૦૦ જેટલી થઇ ગઇ છે. તેમણે કોરોનાની થર્ડ વેવની સંભાવનાઓ સામે પણ રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે તેમ આ તકે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com