
જૂનાગઢના વંથલી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ભલાયશા દરગાહના પરિસરમાં 30 વર્ષીય તાજીમ સોઢા નામના યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં વચ્ચે પડેલા અન્ય એક યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં રોષ અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે મૃતકના પિતાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મળતી વિગતો મુજબ, વંથલીમાં ગઈકાલે મોડી રાત્રે તાજીમ સોઢા દરગાહ પાસે હતો ત્યારે અચાનક 4 હથિયારબંધ શખ્સો છરી અને લોખંડના પાઈપ સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ તાજીમ પર એટલા બેફામ ઘા ઝીંક્યા હતા કે તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ દરમિયાન તાજીમને બચાવવા વચ્ચે પડેલા અન્ય એક વ્યક્તિને પણ હુમલાખોરોએ નિશાન બનાવ્યો હતો, જે હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મૃતક તાજીમના પિતા મુસાભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરોમાં રફીકશા, તેનો ભત્રીજો અકરમ, પુત્ર અરબાઝ અને ઈમલો કાળી સામેલ હતા. આ ચારને તેમણે નજરે જોયા હતાં. જ્યારે અન્ય ત્રણ સાથીદારો હુમલો કરી અંધારામાં નાસી છૂટ્યા હતાં. પુત્ર ગુમાવનાર મુસાભાઈએ માંગ કરી છે કે આ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોઈ શકે છે. વંથલી પોલીસે અત્યાર સુધીની તપાસના આધારે અલગ-અલગ ટીમો બનાવી છે અને પિતાએ આપેલા નામોના આધારે આરોપીઓને પકડવા માટે સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. હત્યાની જાણ થતા જ વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના અને મૃતકના સગા-સંબંધીઓના મોટા ટોળા એકઠા થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો હોસ્પિટલ અને દરગાહ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.