
સરકારે ભારત આવતા મુસાફરો માટે બેગેજ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. બેગેજ રૂલ્સ, 2026 આજથી એટલે કે 2 ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ ગયા છે, જેના અંતર્ગત હવાઈ અથવા દરિયાઈ માર્ગથી ભારત આવતા મુસાફરોને વધુ મૂલ્યની વ્યક્તિગત વસ્તુઓ ડ્યુટી-ફ્રી લાવવાની છૂટ મળી છે. આ નવા નિયમો જૂના ‘બેગેજ રૂલ્સ, 2016’ નું સ્થાન લેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ 1 ફેબ્રુઆરીએ જાહેર કરેલા નોટિફિકેશનમાં આ ફેરફારોની જાણકારી આપી છે. ભારતીય રહેવાસી, ભારતીય મૂળના પ્રવાસી અથવા માન્ય વિઝા (ટૂરિસ્ટ વિઝા સિવાય) ધરાવતા વિદેશી નાગરિકો હવે 75,000 રૂપિયા સુધીની વસ્તુઓ ડ્યુટી-ફ્રી લાવી શકે છે. અગાઉ આ મર્યાદા 50,000 રૂપિયા હતી. આ ઉપરાંત ટૂરિસ્ટ વિઝા પર આવતા વિદેશી પ્રવાસીઓ માટે ડ્યુટી-ફ્રી મર્યાદા વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે, જે પહેલા 15,000 રૂપિયા હતી.એક વર્ષથી વધુ સમય વિદેશમાં રહેતા ભારતીય રહેવાસી અથવા ભારતીય મૂળની વ્યક્તિ ભારત પરત ફરતી વખતે મર્યાદિત માત્રામાં સોનાના આભૂષણો (અથવા અન્ય કિંમતી ધાતુના આભૂષણો) ડ્યુટી ચૂકવ્યા વિના લાવી શકે છે, શરત એટલી કે તે વ્યક્તિગત ઉપયોગ માટે હોય અને વેચાણના ઈરાદાથી લાવવામાં આવ્યા ન હોય. મળતી માહિતી અનુસાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈપણ મુસાફર (ક્રૂ મેમ્બર સિવાય) તેના અંગત સામાનમાં એક નવું લેપટોપ અથવા નોટપેડ ડ્યુટી-ફ્રી લાવી શકે છે. આ સુવિધા મુસાફરો માટે ઘણી રાહત આપનારી છે, ખાસ કરીને જેઓ વિદેશથી ઈલેક્ટ્રોનિક્સ લાવે છે.