
કુદરતી વાવાઝોડું ‘ગેઝાની’ મડાગાસ્કરના દરિયાકાંઠે આવેલા મુખ્ય શહેર અને હિદ મહાસાગરના ટાપુ પર ત્રાટકતાં ઓછામાં ઓછા ૨૦ લોકોનાં મોત થયા છે. આ ગેઝાની વાવાઝોડા દરમિયાન પવનની ગતિ ૧૯૫ કિમી પ્રતિ કલાકથી વધુ નોંધાઈ હતી. આ પહેલાં, મડાગાસ્કરના હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં સંભવિત પૂર અને ભૂસ્ખલનની ચેતવણી આપીને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું.
ગેઝાની વાવાઝોડું ૩.૧ કરોડની વસ્તી ધરાવતા આ મોટા ટાપુ પરથી પસાર થઈ રહ્યું છે. અહીં લોકો ગરીબીમાં જીવે છે અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટે તેમની પાસે પૂરતા આશ્રયસ્થાનો પણ નથી. મડાગાસ્કર હિંદ મહાસાગરમાંથી આવતા કુદરતી વાવાઝોડાઓ સામે ખાસ કરીને સંવેદનશીલ છે. નેશનલ ઓફિસ ફોર રિસ્ક એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે, મકાનો ધરાશાયી થવાથી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે, તેમજ ૩૩ ઘાયલ થયા છે અને ૧૫ લોકો લાપતા છે.