રોડ પર બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. હેલ્મેટ માત્ર કાનૂની ફરજ નથી. તે જીવન બચાવવાનું મહત્ત્વનું સાધન છે. આજના સમયમાં માર્ગ અકસ્માતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં બાઈક ચાલકોને સૌથી વધુ જોખમ છે. ખાસ કરીને હેલ્મેટ ન પહેરવામાં આવે તો ગંભીર ઈજાની અને જીવન ગુમાવવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. બાઈક અકસ્માત વખતે સૌથી વધુ અસર માથા પર થાય છે. જો વાહન ફસલાય સામેથી વાહન ટકરાય અથવા અચાનક બ્રેક લાગવાથી બાઈક ચાલક રોડ પર પટકાય, તો સીધો આઘાત માથાને લાગે છે. હેલ્મેટ વગર આ આઘાત મગજ સુધી પહોંચી શકે છે.
રસ્તા પર બાઈક ચલાવતી વખતે થતી માથાની ઈજાઓ કેટલી ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. તે અંગે ન્યુરોસર્જને માહિતી આપી છે. બાઈક અકસ્માતમાં જો માથું સીધું જમીન કે અન્ય વાહન સાથે અથડાય તો મગજને ગંભીર નુકસાન થઈ શકે છે. માથાની ઈજાઓ ક્યારેક બહારથી સામાન્ય દેખાય છે પરંતુ અંદર મગજમાં સૂજન અથવા નસોને નુકસાન થયું હોઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. અકસ્માત બાદ ઘણીવાર લોકો ઘેર જવાનું પસંદ કરે છે. પરંતુ માથાની ઈજા થયા બાદ તરત જ ડોક્ટરની તપાસ જરૂરી છે.
ડો. શ્રુત દોશી એ જણાવ્યું કે અકસ્માત કોઈ પહેલેથી નક્કી થયેલી ઘટના નથી. અકસ્માત થવાના સમયે મગજની વિવિધ પ્રકારની ઈજાઓ થાય છે. જેમાં હેમરેજ અથવા સોજો સામાન્ય છે. આ ઈજાનું પ્રમાણ સીટી સ્કેન અથવા એમઆરઆઈ દ્વારા જાણી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં ઈજા એટલી ગંભીર હોય છે કે તાત્કાલિક સારવાર મળ્યા પછી પણ, રિકવરી કેટલી થશે તે હંમેશા સ્પષ્ટ નથી.
રસ્તા પર બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. હેલ્મેટ પહેરવાથી માથાની ઈજાનો ખતરો ઘટે છે. ૧૦ અકસ્માતમાંથી ૨ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે મોત થાય છે, જે એક મોટો આંકડો છે. જો હેલ્મેટ પહેરવામાં આવે તો આ પ્રકારની ઈજાઓની સંખ્યા ઘટે છે. હેલ્મેટ એ હોસ્પિટલમાં ન જવા માટેનું પ્રથમ સાધન છે. ઘણી ઈજાઓ સામાન્ય હોય છે અને કેટલીક વખતે સારવારમાં વિલંબ પણ થઈ શકે છે.
સામાન્ય રીતે, કેસ ગંભીર બને છે અથવા મોટી સારવારની જરૂર પડે છે. તેના મુખ્ય ૪ લક્ષણો છે
અતિશય માથું દુખવું.
વારંવાર ઊલટીઓ થવી.
આંખ, કાન અને નાકમાંથી લોહી નીકળવું,
બેભાન અવસ્થા અથવા ઝોકું આવવું.
આ લક્ષણો દેખાય તો અમે તાત્કાલિક મગજનો સીટી સ્કેન કરવામાં સલાહ આપીએ છીએ. સીટી સ્કેનથી આપણને તરત જ માહિતી મળે છે કે દર્દીને કઈ સારવારની જરૂર છે, કેટલી જલદી જરૂરી છે અને પરિણામ કેવું આવશે.
એકવાર સારવાર નક્કી થઈ ગયા બાદ, ન્યુરોસર્જનની દેખરેખ હેઠળ સારવાર કરીએ છીએ, તે સમયે આપણને ખબર પડે છે કે આ ઈજાઓ કેટલી ગંભીર છે. જ્યારે અમે, ન્યુરોસર્જન તરીકે, માથાની ઈજા ધરાવતા વ્યક્તિને સારવાર આપીએ છીએ, ત્યારે અમે પૂછીએ છીએ કે તમે હેલ્મેટ પહેર્યું હતું કે નહીં. લગભગ મોટાભાગના લોકો ના માં જવાબ આપે છે. આ ખરેખર દુ:ખની વાત છે. તેથી, જ્યારે આપણે બાઈક ચલાવી રહ્યા હોઈએ ત્યારે હેલ્મેટ પહેરવું અત્યંત આવશ્યક છે.