ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો
સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો: રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલ
***********



ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે.
આ કાર્યક્રમમાં રાજ્યની કુલ ૨૨૩ સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યશ્રીઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ ૪૭૬ શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ વિકાસ, પર્યાવરણ જાગૃતિ અને ઉત્તમ નાગરિક ઘડતર” વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના જતન અને પ્રચાર-પ્રસાર માટે લેવાયેલા આ પ્રયાસને સંસ્કૃતપ્રેમી મહાનુભાવોએ સ્તુત્ય ગણાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ સંસ્કૃતના સંવર્ધન માટે એકજૂટ પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં સંસ્કૃત બોર્ડના ઉપાધ્યક્ષશ્રી ડૉ. પંકજકુમાર ત્રિવેદી, પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા, સાહિત્યકાર ડૉ. કનૈયાલાલ ભટ્ટ તથા સંસ્કૃત વિષ્યા તજજ્ઞો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતો.