નેપાળમાં ત્રિશૂલી નદીમાં બસ ખાબકતા 17ના મોત, વિદેશી પ્રવાસીઓ સહિત 24 ઈજાગ્રસ્ત

Spread the love

નેપાળમાં આજે વહેલી સવારે એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા અત્યાર સુધીમાં 17 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત પૃથ્વી હાઇવે પર સર્જાયો હતો. નેપાળના ધાદિંગ જિલ્લામાં સોમવારે વહેલી સવારે અંદાજે 1:30 વાગ્યે એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. પોખરાથી કાઠમંડુ જઈ રહેલી મુસાફરોને લઈ જતી બસ બેનીઘાટ રોરાંગ ગ્રામીણ નગરપાલિકા-5 પાસે પૃથ્વી હાઇવે પરથી નીચે ઉતરી ગઈ હતી અને અંદાજે 300 મીટર નીચે સીધી ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ નદી કિનારે પહોંચતા સુધીમાં સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. સશસ્ત્ર પોલીસ દળ (APF) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 11 પુરુષો અને 6 મહિલાઓનો સમાવેશ થાય છે. અકસ્માતમાં 24 થી 27 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદેશી પ્રવાસીઓ અને એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. અંધારું અને પહાડી વિસ્તાર હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ રાત્રે જ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. ઘટનાસ્થળે નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને આપત્તિ વ્યવસ્થાપન યુનિટના ડાઇવર્સની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. જોકે અકસ્માત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ વળાંક પર ચાલકે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નેપાળમાં પહાડી રસ્તાઓ અને ખરાબ હવામાનને કારણે વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોય છે, પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર મુસાફરોની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *