ગુજરાતના શહેરોમાં સ્વદેશી મેળાઓના આયોજનથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

Spread the love

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત દશેરાથી દિવાળી દરમિયાન રાજ્યના 16 શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી “સ્વદેશી ફેસ્ટિવલ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹10 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. આ સફળતાને આગળ વધારતાં હવે રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે, જેના દ્વારા સ્વસહાય જૂથો (SHG), સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળશે.
*15 માર્ચ સુધીમાં રાજ્યની 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે-
15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 1500થી વધુ સ્ટોલ સ્વસહાય જૂથોને ફાળવવામાં આવ્યા છે, જ્યારે શેરી ફેરીયાઓને 1400થી વધુ સ્ટોલ આપવામાં આવ્યા છે. ખાણીપીણી માટે 1200 સ્ટોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અન્ય કારીગરોને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે 1650થી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, ₹83 લાખથી વધુનું વેચાણ થયું-
રાજ્યમાં અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા શરૂ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા ઝોનની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન 1 લાખથી વધુ લોકોએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી છે અને ₹83 લાખથી વધુનું વેચાણ થયું છે. આ સફળતા દર્શાવે છે કે નાગરિકો વોકલ ફોર લોકલ પહેલ સાથે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. આ સ્વદેશી મેળાઓ માત્ર વેપાર માટેનું પ્લેટફોર્મ નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નોંધનીય પ્રયાસ છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. તેને અનુસરીને ગુજરાત સરકાર આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બને અને દરેક નાગરિક સ્વદેશીના મંત્રને અનુસરે એ માટે સતત પ્રયાસો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *