ઠાકોર સમાજના બંધારણમાં ખર્ચાળ ડીજે અને ભોજન સમારંભ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ અનેક વાર ચર્ચાયું છે. પહેલા વિક્રમ ઠાકોરે ડીજેના મુદ્દે અનેક નિવેદનો આપ્યા હતા. ફરીથી લગ્ન પ્રસંગમાં ડીજે અને ખર્ચાળ ભોજન મુદ્દે બનાસકાંઠાના એક ભુવાનો વીડિયો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભુવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ગેનીબેન ઠાકોરના લગ્ન પ્રસંગે ડીજે અને ખર્ચાળ ભોજન બંધ રાખવાના નિર્ણયનો ભુવો ઉલ્લેખ કરે છે. ભુવો કહે છે કે, લગ્ન પ્રસંગે ડીજે ન વગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય તો પણ તેમાં કોઈ ધાર્મિક બાધ નથી. તેઓ સ્પષ્ટ શબ્દોમાં બોલી રહ્યા છે કે, “માતાજીના ધાર્મિક પ્રસંગો ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે.”
ગેનીબેન પર ભુવાના સીધા પ્રહાર
વાયરલ વીડિયોમાં ભુવો ગેનીબેન ઠાકોર પર સીધા પ્રહાર કરતા દેખાય છે. તે ધૂણતાં ધૂણતાં કહે છે કે, “જો ડીજે વાળાનું ડીજે બંધ રખાવું તો હું માતા ન કહેવાઉં. ભલે ગેનીબેને લગ્નમાં ડીજે બંધ રાખવાનું કીધું હોય પણ આગળ ચૈત્ર અને વૈશાખ મહિનામાં જો હું પરવાનગી ન આપું તો માતા નહીં કહેવાઉં.”
“ઠાકોરનો છોકરો લુખ્ખું ભાણું જમે?”
ભોજન અંગે પણ ભુવાએ કહ્યું છે કે, સારું ભોજન ગેનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો લુખ્ખું ભાણું જમે તે ન ચાલે. આ સાથે ભુવો ખુલ્લો પડકાર ફેંકતા કહે છે કે, જો કોઈને આ બાબતે વાંધો હોય તો ગેનીબેનને સીધો ફોન કરીને જાણ કરી દેવી, જવાબ આપવાની મારી તાકાત છે. બધાની બોલતી હું બંધ ના કરું તો હું જોગણી ન કહેવાવ.
ગેનીબેને જ માણી હતી વીઆઈપી ભોજનની મજા!
નોંધનીય છે કે, પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાન અને પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલંઘન થયુ હતુ. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં જ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંગન કરાયું હતુ. જે બાદ તેમણે માફી માંગીને દંડ ભરવાનો પણ વારો આવ્યો હતો. બંધારણમાં VIP રિસેપ્શન અને VIP ભોજન, VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે. બંધારણમાં હલ્દી રસમ,એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે.
આ પહેલા પણ અન્ય ભુવાએ ગેનીબેન પર પ્રહાર કર્યો હતો
થોડા મહિનાઓ પહેલા પણ અરવિંદ ભૂવાજીએ નામ લીધા વિના જ ગેનીબેન ઠાકોરને ખુલ્લો પડકાર ફેંકીને ચેતવણી આપી હતી. ભૂવાએ કહ્યું હતું કે, હું કાળું હીરાની બત્રીસીની મેલડી ધૂણું છું. ધૂણનારા બધા ખોટા નથી હોતા. અરવિંદ ભૂવાજીએ ત્યાં સુધી કહ્યું કે, રાધનપુર, ભાભર, દીયોદર તથા સૂઈગામ પંથકમાં તેની 5 હજાર બાધાઓ છે. સાથે જ પડકાર ફેંક્યો કે તમારા ડોક્ટર અને નેતાઓને લાવીને પાંચ મિનિટ માટે કોઈ દુઃખ દૂર કરી આપો. વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં થરાદમાં ઠાકોર સમાજના નવા બંધારણની જાહેરાત અને સ્નેહમિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ભૂવાઓને લઈને નિવેદન આપ્યું હતું. ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરી હતી કે ખોટા ભૂવાઓની જાળમાં ફસાઈને પરિવાર બરબાદ ન કરશો. આ જ વાતથી ભૂવાજીને લાગી આવ્યું અને ચીમકી આપી કે હવે પછી આવી વાત કરશે તો નામજોગ બોલીશ.