આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાપર વધતી જતી વીડિયો અપલોડ કરવાની પ્રવૃત્તિ અને તેના કારણે ન્યાયિક પ્રક્રિયા પર પડતી અસર અંગે સુપ્રીમ કોર્ટે(Court) ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે નોંધ્યું કે હવે મોબાઈલ ધરાવતો દરેક વ્યક્તિ ‘મીડિયા’ બની ગયો છે, જે નિષ્પક્ષ સુનાવણી (Fair Trial) માટે ખતરો ઉભો કરે છે.
મદદ કરતાં પહેલાં ‘કન્ટેન્ટ’ બનાવવાની દોડ
જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન કડક શબ્દોમાં જણાવ્યું કે, અકસ્માત કે કોઈ દુર્ઘટનામાં લોકો પીડિતની મદદ કરતા પહેલાં વીડિયો બનાવવા દોડે છે. કોર્ટના જણાવ્યા મુજબ આ વલણ હવે “સંક્રામક રોગ” જેવું બની ગયું છે.
પોલીસ અને સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. જેના કારણે જનમાનસમાં પૂર્વગ્રહ ઊભો થાય છે. પરિણામે, જ્યારે પુરાવાના અભાવે આરોપી નિર્દોષ સાબિત થાય છે, ત્યારે ન્યાયતંત્ર પર સવાલો ઊભા થાય છે.
જસ્ટિસ બાગચીએ ટિપ્પણી કરતા જણાવ્યું કે પોલીસ બ્રીફિંગ દ્વારા આરોપીઓ વિરુદ્ધ પૂર્વગ્રહ ઊભો ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે પરંપરાગત ટીવી ચેનલો કંઈક અંશે સંયમ રાખે છે, પરંતુ સોશિયલ મીડિયાની અણઘડ અને વિખેરાયેલી સ્વભાવ મોટી સમસ્યા બની રહી છે.
‘બ્લેકમેલર્સ’ જેવી પ્રવૃત્તિઓ પર કટાક્ષ
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોશિયલ મીડિયા પર ચાલતા કેટલાક પેજ અને ચેનલોને “બ્લેકમેલર્સ” તરીકે વર્ણવ્યા. ચીફ જસ્ટિસે પણ નોંધ્યું કે નાના શહેરો અને ગામોમાં કેટલાક લોકો નકલી મીડિયા ઓળખપત્રોનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરે છે.
SOP બનાવવા માટે 3 મહિનાનો સમય
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. સાથે જ અરજદારને સૂચના આપી છે કે એપ્રિલ પછી વધુ વ્યાપક મુદ્દાઓ સાથે અરજી ફરી રજૂ કરવામાં આવે.