ભારત સામે પડનારા હવે શરણે : બાંગ્લાદેશ – માલદીવની પેટ્રોલીયમ ચીજો માટે મદદની ગુહાર

Spread the love

 

તહેરાન, તા.3 અત્યારે પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણનું સંકટ ઘેરું બન્યું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જવાને કારણે તેલની સપ્લાય ખોરવાઈ છે, જેની સૌથી ગંભીર અસર ભારત વિરોધી વલણ ધરાવતા પાડોશી દેશો માલદીવ્સ અને બાંગ્લાદેશ પર પડી છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી છે કે, માલદીવ્સે ભારત પાસે ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ કરી છે. વર્લ્ડ બેન્કના ડેટા મુજબ માલદીવ્સ મોટાભાગનું ઈંધણ ઓમાનથી મેળવે છે, પરંતુ યુદ્ધને કારણે સપ્લાય બંધ થતા તે મુશ્કેલીમાં મુકાયું છે.

બીજી તરફ, બાંગ્લાદેશ પણ ઈંધણની અછતનો સામનો કરી રહ્યું છે. ભારત હાલમાં દુનિયાનું ચોથું સૌથી મોટું રિફાઇનર છે અને તે પહેલેથી જ કોમર્શિયલ કરારો હેઠળ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને શ્રીલંકાને ઈંધણ પૂરું પાડી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાને 38,000 ટન પેટ્રોલિયમ મોકલવામાં આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશને પાઈપલાઈન દ્વારા ડીઝલનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે.

આ સમગ્ર સ્થિતિમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ અને બાંગ્લાદેશની યુનુસ સરકારે ભૂતકાળમાં ભારત સાથેના સંબંધો બગાડવામાં કોઈ કસર છોડી નહોતી. ચીનના પ્રભાવ હેઠળ આવીને આ દેશોએ વ્યૂહાત્મક રીતે ભારતનો વિરોધ કર્યો હતો.

જોકે, વર્તમાન કટોકટીએ સાબિત કરી દીધું છે કે મુશ્કેલીના સમયે પાડોશી જ ખરેખર કામ આવે છે. ભારત પોતે પણ અત્યારે પડકારોનો સામનો કરી રહ્યું છે, કારણ કે ભારતના 18 જેટલા ઓઇલ અને ગેસના જહાજો હોર્મુઝમાં ફસાયેલા છે, જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે.

ભારત પોતાની ‘નેબરહુડ ફર્સ્ટ’ની નીતિને વળગી રહીને ઉદારતા દાખવી રહ્યું છે. પોતાની જરૂરિયાતો અને ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ભારત માલદીવ્સની માંગ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

અગાઉ યુક્રેન હોય કે પેલેસ્ટાઈન, ભારતે હંમેશા સંકટના સમયે મદદનો હાથ લંબાવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભારત પાસેથી મદદ લીધા બાદ માલદીવ્સ અને બાંગ્લાદેશ પોતાની જૂની વ્યૂહનીતિ બદલીને ભારત સાથેના સંબંધોમાં કેટલું મહત્ત્વ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *