મહિલાઓને 33% અનામતનો રસ્તો ખુલ્લો, 16 18 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહિલાઓનો નવો અધ્યાય શરૂ થશે

Spread the love
ભારત સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં સપ્ટેમ્બર 2023માં પસાર થયેલા ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ)ને અમલી બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે.
આ સત્રમાં કાયદાકીય સુધારા પસાર કરી મહિલાઓ માટે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈને સંપૂર્ણ કાનૂની માન્યતા આપવામાં આવશે.
‘રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં એક નવો અધ્યાય શરૂ થશે’
ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો.
મનીષા વકીલે જણાવ્યું હતું કે, આ નિર્ણયથી દેશના રાજકારણમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં એક નવો અધ્યાય શરૂ થશે. તેમણે ઉમેર્યું કે સરકાર મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

2029ની લોકસભા ચૂંટણીથી આ અનામત અમલમાં આવી શકે

 

માહિતી મુજબ, 2023ના મૂળ કાયદાને અમલમાં લાવવા માટે જરૂરી સંશોધન બિલો આ સત્ર દરમિયાન રજૂ કરીને પસાર કરવામાં આવશે. સાથે જ સીમાંકન (ડિલિમિટેશન) અને વસ્તી ગણતરી સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરી 2029ની લોકસભા ચૂંટણીથી આ અનામત અમલમાં આવે તે માટે માર્ગદર્શન તૈયાર કરવામાં આવશે.

 

‘નારી શક્તિ વંદન સંમેલન’ બાદ નિર્ણય

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝન અંતર્ગત મહિલાઓની ભાગીદારીને અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. તાજેતરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ બાદ લેવાયેલો આ નિર્ણય મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

સંસદમાં મહિલાઓનો અવાજ પ્રભાવશાળી થશે રાજકીય વિશ્લેષકોના મત મુજબ, આ વિશેષ સત્ર ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે છે, જે સંસદમાં મહિલાઓના અવાજને વધુ પ્રભાવશાળી અને સશક્ત બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *